Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લાની સરકારી શાળાઓના આચાર્યોને હાજરી પુરવા સહિતની અમુક કામગીરી માટે ચાઇનાના ટેબલેટ અપાતા કચવાટ થયો છે કેમકે સ્વદેશીના આગ્રહ વચ્ચે લીનોવોની પ્રોડક્ટ ધાબડી દેવાતા આશ્ચર્ય સાથે ટીકાઓ થાય છે કેમ કે કોરોના વાયરસ ચીનથી ફેલાયો હોવાથી સમગ્ર વિશ્વમાં ચીન સામે ફીટકાર લગાવવામાં આવી હતી અને ભારતમાં પણ ભારે વિરોધ વચ્ચે ચાઇનાની વસ્તુઓ સામે વિરોધ ઉઠયો હોવાથી સુરતમાં તો જનતાએ જાહેરમાં ચીનના ટી.વી. તોડી નાખ્યા હતા અને જામનગરમાં વેપારીઓએ ચાઇનાની વસ્તુઓનો વિરોધ કરીને વસ્તુઓ ન વેચવા સંકલ્પ લીધા હતા તે વચ્ચે રાજ્ય સરકારના સર્વ શિક્ષા અભિયાન મારફત મોટા પ્રમાણમાં રાજ્યની શાળાના આચાર્યો માટે ચીન બનાવટના ટેબલેટ ખરીદ કરીને વિતરણ કરવામાં આવ્યા છે.
જેમાં જામનગર જિલ્લાની સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાના આચાર્યોને તાજેતરમાં વિતરણ કરવામાં આવ્યા છે સર્વ શિક્ષા અભિયાનના સુત્રોમાંથી મળતી વિગત મુજબ સમગ્ર રાજ્યની ધો.1થી 12 સુધીની તમામ શાળાનો તેમજ ગ્રાન્ટેન્ડ માધ્યમિક શાળાના આચાર્યો રોજે રોજ હાજરી પુરવાથી માંડીને ગાંધીનગર શિક્ષણ વિભાગ સાથે વીડીયો સંપર્કના માધ્યમથી વી.સી. યોજના સહિતની શિક્ષણને લગતી કામગીરી માટે ટેબલેટ ફાળવવામાં આવી રહ્યા છે અને આ ટેબલેટ ચીનની બનાવટના હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. ત્યારે જામનગર જિલ્લાની સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાના 876 આચાર્યોને તાજેતરમાં દરેક તાલુકા મથકે આ ચાઇનાના ટેબલેટ વિતરણ કરવામાં આવતા ઘણા શિક્ષકોએ કચવાટની લાગણી અનુભવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનામાં આત્મનિર્ભર બનવા માટે યોજના સરકારે બનાવી છે અને સ્વદેશી વસ્તુઓ પર ભાર મુકવા સુધીના સંદેશા વાયરલ કરીને લોક જાગૃતિ ફેલાવીને મોટાપાયે પ્રચાર-પ્રસાર કરવામાં આવતા જનતામાં ચીન તરફથી નફરત પેદા કરવામાં આવી હતી પરંતુ સરકારના જ શિક્ષણ વિભાગ દ્વારા કરોડોના ખર્ચે શાળાના આચાર્યોને લીનોવા નામની ચાઇનાની કંપનીના ટેબલેટથી કામ કરવુ પડતુ હોઇ ભારે ટીકા થઇ રહી છે. અત્રે એ વાત પણ ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ રાજ્ય માટે કરોડોના ટેબ્લેટ ખરીદ કરવામાં આવ્યા અંગે સરકારની ટીકા અને આક્ષેપો કર્યા હતા.