Mysamachar.in-જામનગર
કોરોના વાયરસની મહામારીને ફેલાતી અટકાવવા માટે લોકડાઉનનું પાલન કરાવવામાં આવ્યું સારી બાબત છે, પણ આ દરમિયાન કેટલાય પરિવારો અને લોકો એવા હતા જેની રોજીરોટી નું હજુ અનલોક સુધી પણ ઠેકાણું નથી, અને જયારે કોઈ દિશા નથી સુઝતી ત્યારે આવા લોકો આત્મહત્યાનું પગલું પણ ભરી લે છે, અહી વાત થઇ રહી છે જામનગર જીલ્લાના લાલપુર ગામની…. પ્રગટેશ્વર સોસાયટીમાં રહેતા અને રાજકોટ ખાતે ચા ની હોટેલ ધરાવતા યુવાનનો ધંધો ઠપ્પ થઇ જતા યુવકના મનમાં નિરાશા પ્રસરી ગઈ હતી અને અંતે યુવાને ગળાફાસો ખાઈ જીવાદોરી ટુકાવી લીધી છે.
થોડા દિવસો પૂર્વે જ પોતાના પુત્ર પાસે લોકડાઉન ને કારણે કોઈ કામધંધો ના હોય એક માતાએ આપઘાત કર્યાની ઘટના નજર સમક્ષ છે, ત્યાં જ વધુ એક યુવાને જિંદગી ટૂંકાવી છે, લાલપુર પ્રગટેશ્વર સોસાયટીમાં રહેતા વાસુભાઈ કુંભાભાઈ ઝાપડા નામના ૨૨ વર્ષીય યુવાને ગઈ કાલે બપોરે દોઢેક વાગ્યે પોતાના ઘરે છતના પંખાની હુકમાં રસ્સો બાંધી ગળાફાસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટના સબંધે મૃતકના સબંધી મોમૈયાભાઈ ઝાપડાએ સ્થાનિક પોલીસમાં જાણ કરી નિવેદન આપ્યું હતું. જેમાં રાજકોટ ખાતે ચાની હોટેલ લોકડાઉનના કારણે બંધ થઇ જતા યુવાનને કોઈ કામધંધો મળ્યો ન હતો. જેથી નિરાશ થઈ યુવાને આ પગલું ભરી લીધું હોવાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.