Mysamachar.in-જામનગર
જામનગર શહેર જિલ્લામાં કોરોનાના ભયાનક સંક્રમણને પગલે જી.જી. હોસ્પિટલમાં ઉભરાઇ રહેલા દર્દીઓ તથા તેના સગા-સંબંધીઓના ધસારાને કારણે જી.જી. હોસ્પિટલ પરિસર તેમજ આજુબાજુના વિસ્તારમાં કોરોના સંક્રમણ બેકાબુ થવાની દહેશત ઉભી થઇ છે. આ વિસ્તારમાં સંક્રમણ વધે નહિ તે માટે સાવચેતીના ભાગરુપે જી.જી. હોસ્પિટલ સામે આવેલી મેડીકલ સિવાયની તમામ દુકાનો તંત્ર દ્વારા આજથી 30 એપ્રિલ સુધી બંધ કરાવવામાં આવી છે. હોસ્પિટલ સામે આવેલી આ દુકાનો પર લોકોની ખાસ કરીને દર્દીના સગા-સંબંધીઓની ચીજવસ્તુઓ તેમજ ખાદ્ય પદાર્થો લેવા માટે ભારે ભીડ રહેતી હોય.
અહીં કોરોના સંક્રમણ ફેલાવાની શકયતાઓ ખૂબ જ વધી જવા પામી છે. જેને પગલે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. અહી સિક્કાની બીજી બાજુ એ જોવા મળી કે કેટલાક નેતાઓં અને વેપારી સંગઠનો કોરોનાની ચેઈન તોડવા માટે સ્વૈચ્છિક બંધને સમર્થન કરવા લોકોને વેપારીઓને અપીલ કરી રહ્યા છે તો જયારે આજે જીજી હોસ્પિટલ સામે તંત્ર જ્યારે દુકાનો બંધ કરાવવા પહોચ્યું તો કેટલાક ભાજપના આગેવાનો દુકાનદારોના સમર્થનમાં પહોચ્યા હોવાની ચર્ચાઓ સાંભળવા મળી જો આ બાબત સાચી હોય તો ટીકારૂપ કહેવાય.. જો કે અંતે 38 દુકાનો સીલ થઇ હોવાનું જાણવા મળે છે.