Mysamachar.in-જામનગર:
કેન્દ્રીય એજન્સીઓમાં વ્યાપક ભ્રષ્ટાચારને ઘટાડવા અથવા શૂન્ય કરવા માટે મોદી સરકાર તનતોડ મહેનત કરી રહી છે. ઘણી પ્રક્રિયાઓ ફેસલેસ બનાવી રહી છે, જેમાં આવકવેરા સહિતના વિભાગોને આવરવામાં આવી રહ્યા છે, પરંતુ અધિકારીઓ પરંપરાગત સામંતશાહીનો મોહ અને લાલચ કેમ જતી કરે ?! આખરે મામલો ખનખનિયા કમાવાનો છે !
ગુજરાત સહિત દેશભરમાં દરેક પોર્ટ પર આવતાં જહાજો તથા અલંગ ખાતે ભાંગવા આવતાં શિપના માલિકોએ, કંપનીઓએ ઘણી પ્રોસેસમાંથી પસાર થવાનું હોય છે. આ પ્રોસેસ કેટલાક અધિકારીઓ માટે કમાણીનું સાધન હોય છે જે સરકાર જાણે છે તેથી સરકાર ease of doing business ને આગળ વધારવા ફેસલેસ પ્રોસેસ અપનાવી રહી છે. પરંતુ કેટલાક અધિકારીઓ એવાં લોકોનાં ચહેરા જોવાનાં શોખીન હોય છે, જે ચહેરાઓ કમાણી કરાવી શકે. ફેસલેસ પ્રક્રિયામાં સામાન્ય રીતે બિલ ઓફ એન્ટ્રી પછીનાં 48 કલાકમાં જહાજને beaching આપવાનું હોય છે પરંતુ બાહોશ અધિકારીઓ એમાં પણ કળાઓ કરી, જહાજી કંપનીઓને પરેશાન કરી, પોતાની કથિત કમાણીનો માર્ગ શોધી લેતાં હોવાની ફરિયાદો વ્યાપક રીતે ઉઠવા પામી છે
આ પ્રકારની ફરિયાદો કેન્દ્ર સરકારમાં ખાનગીમાં પહોંચી છે, એવું સૂત્રો જણાવે છે. ફરિયાદો સ્થાનિક સ્તરેથી અથવા ઈન્ટરનેશનલ સ્તરેથી પણ પહોંચી હોય શકે. ખાસ કરીને, અલંગમાં અને પિપાવાવ સહિતનાં બિઝી પોર્ટ પર આવું વધારે બનતું હોય છે. આ બંને પોર્ટ જામનગર કસ્ટમ હેઠળ આવતાં હોય, કસ્ટમના અધિકારીઓની કુંડળીઓ કેન્દ્રીય તપાસ એજન્સીઓ મેળવી રહી છે. ડેટા કલેક્શન ગુપ્ત રીતે ચાલુ હોવાનું સુત્રો જણાવે છે. જેને કારણે કેટલાંક વચેટિયાઓનાં શ્વાસ પણ અધ્ધર થયાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
દેશી-વિદેશી કંપનીઓ પ્રસાદ આપવાની પ્રોસેસ પૂર્ણ કરી લઈ કસ્ટમ અધિકારીઓ સાથેનો પનારો smooth રીતે જાળવી રહી છે ! જેને કારણે સરકારની, દેશની પ્રતિષ્ઠાને ઘસારો પહોંચે છે અને ફેસલેસ પ્રોસેસનો ધાર્યો લાભ ધંધાર્થીઓ સુધી પહોંચતો નથી, બીજી બાજુ અગાઉની માફક જ ફેસલેસ ટેકનોલોજી અને પ્રોસેસ પછી પણ ઝીરો લાંચનો આશય સિધ્ધ થઈ શકતો નથી. આ પ્રકારની વિગતો સાથે સૂત્રો જણાવે છે કે, આ અનુસંધાને CBI હાલ જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સક્રિય છે. આગામી સમયમાં કડાકાભડાકા થશે ?!