Mysamachar.in-જામનગર
જામનગરમા આવેલી વિશ્વની સૌથી પ્રાચીન ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને ઇન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સનો દરજ્જો મળતા કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકારી જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આયુષમંત્રી શ્રીપદ નાયકનો આભાર વ્યક્ત કરી ઉમેર્યુ છે કે ભારતીય પ્રાચીન ચિકીત્સા પદ્ધતિ અંગેનુ બીલ રાજ્યસભામા પાસ થતા અહી વિશ્વસ્તરના વધુ સ્ટાન્ડર્ડ અને ક્વોલીટી શિક્ષણ અને સંશોધનના દ્વાર ખુલ્યા છે જેના દ્વારા ભારતની સાચી ઓળખ પ્રસ્થાપીત થશે અને આ બીલ પાસ થતા જામનગરમાં આયુર્વેદમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંશોધનને વિશીષ્ટ દરજ્જો અને સ્વાયતતા સાથે પ્રોત્સાહન મળી રહેનાર છે જે સમગ્ર જામનગર માટે વિશેષ ગૌરવની બાબત છે,
ભારતની ચિકિત્સા પ્રણાલી એવી આયુર્વેદને રાષ્ટ્ર અને વિશ્વસ્તરે એક નવી ઓળખ આપવાનો આ નિર્ણય આયુર્વેદને એક નવી બુલંદી આપશે તેમ જણાવી સંસદસભ્ય પૂનમબેન માડમએ ઉમેર્યું છે કે હજારો વર્ષથી પ્રાચીન આયુર્વેદ પ્રણાલી માત્ર ચિકિત્સા પદ્ધતિ જ નહી પરંતુ જીવનનું ઉંડાણપુર્વકનુ સિદ્ધ શાસ્ત્ર હોવાથી રાષ્ટ્રીય કક્ષાનો મહત્વનો દરજજો મળતા સમગ્ર ભારત માટે ગર્વની બાબત બની છે, જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વિશ્વની સૌ પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી તેમજ સંલગ્ન શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય, ઇન્સ્ટીટ્યુટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચીંગ રીસર્ચ એન્ડ એનાલીસીસ એમ સમગ્ર ક્લસ્ટરને ઈન્સ્ટીટયુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ આપવામાં આવતા એક નવુ સન્માન અને પ્રતિષ્ઠા મળ્યા છે,
અને આયુર્વેદ યુનિવર્સિટી અને સંલગ્ન શિક્ષણ તેમજ સંશોધનના વિધાર્થીઓ-ચિકિત્સકો- સંચાલકો- સંશોધકો સૌને ગૌરવ પ્રદાન થયું છે તેમ પણ સંસદસભ્ય પૂનમબેન માડમએ આ યાદીમાં ઉમેર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણી ચિકિત્સા પદ્ધતિ વિશ્વભરમાં પ્રસિધ્ધ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહયા છે અને વર્ષ 2016 થી ભગવાનશ્રી ધન્વંતરીજીના જન્મદિવસને ”આયુર્વેદ ડે” પણ માનનીય વડાપ્રધાનએ જાહેર કરી આપણા શાસ્ત્રને વધુ ગૌરવ અપાવ્યું છે ત્યારે વધુ એક વખત ઈન્સ્ટીટયુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ સાથે જામનગરની આ યુનિવર્સીટી ને વધુને વધુ સ્વાયતતા મળશે જેનાથી શિક્ષણ- શોધ-સંશોધનના વ્યાપ હજુ વધશે અને વડાપ્રધાનના બહુમુલ્ય માર્ગદર્શન અને નિર્દેશ હેઠળ આયુષ મંત્રાલય દ્વારા જે જહેમત ઉઠાવવામાં આવી તેના લીધે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જામનગર અને આયુર્વેદ યુનિવર્સીટીનું નામ હજુ વધુ ને વધુ ઝળકશે
વિશ્વ સ્તરે સ્વીકૃત એવા પ્રાચીન અને પરંપરાગત એવા જીવનને ઉત્કર્ષ અને તંદુરસ્તી પ્રદાન કરનારા આ સાયન્ટીફીક હોલીસ્ટીક હેલ્થ સાયન્સ એવા આ આયુર્વેદશાસ્રને ભારતમાં ઘર આંગણે જ ખાસ પ્રતિષ્ઠા આપતો ઇન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સનો દરજ્જો મળવોએ આપણી પરંપરા અને સંસ્કૃતિના જતન સમાન સાંસ્કૃતિક નિર્ણય ગણાય જે રાષ્ટ્રની એક પ્રકારની મહત્વપુર્ણ સેવા છે કેમ કે આયુર્વેદ દ્વારા સ્વાસ્થ્ય અને સ્વાસ્થનું રક્ષણ એ મુળભૂત હેતુ છે જે “સ્વસ્થ ભારત” નું પ્રતિક બની રહે તે માટે આ નિર્ણય ખૂબ અગત્યનો અને આપણા સૌ માટે ખૂબ ગૌરવશાળી બાબત છે.