Mysamachar.in-જામનગર
રાજ્યના પ્રાથમિક શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરતા સૌથી મોટા એવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે બે અલગ અલગ મુદ્દાઓને લઈને રાજ્યના શિક્ષણ સચિવને લેખિત રજૂઆત કરી છે. જેમાં પહેલી રજૂઆતમાં જણાવ્યાનુસાર ધો.3 થી 8 ની સામાયિક મૂલ્યાંકન કસોટી યોજના સૂચના કરેલ છે. સાંપ્રત સમયમાં કોવિડ-19નું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે શિક્ષક સમાજ અને બાળકોના હિતમાં સામાયિક કસોટી રદ કરવા અને કોરોના મહામારીના નવા પ્રકોપમાં બાળકો અને શિક્ષકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. સામાયિક કસોટીની આપ લે કરવામાં વધુ બાળકો અને શિક્ષક સંક્રમિત થવાનું જોખમ રહેલું છે ત્યારે અતિ સંક્રમણથી બચવા માટે એપ્રિલ માસમાં યોજાનાર સામાયિક એકમ કસોટી રદ કરવા.
જયારે બીજી રજુઆતમાં રાજ્યમાં કોરોનાની મહામારીનું સંક્રમણ પ્રતિદિન ખૂબ વધી રહ્યું છે જેના કારણે શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ કરવામાં આવેલ છે અને ઑનલાઈન શિક્ષણકાર્ય ચાલુ છે. હાલમાં મહામારીના કારણે ગામડામાં જવા માટે વાહનવ્યવહારની પણ મુશ્કેલીઓ પડે છે, શિક્ષકોમાં પણ સંક્રમણ ખૂબ વધ્યું છે ત્યારે શિક્ષકો ઘરેથી જ ઑનલાઈન શિક્ષણ આપી શકે તેવી હાલ પૂરતી વ્યવસ્થા કરવા વિનંતી છે. હાલમાં કોરોના મહામારીની સાથે સાથે ગરમીનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે. મધ્યાહ્ન સમયે શાળાઓ છૂટતી હોઈ ગરમીથી સ્વાથ્ય ઉપર પણ અસર થઈ રહી છે.
પ્રાથમિક શાળાઓમાં મોટાભાગે બહેનો કામ કરી રહ્યા છે. આ કપરી પરિસ્થિતિમાં શિક્ષક હિતને ધ્યાને લઈ આંશિક રાહત મળે તે હાલમાં ઑનલાઈન શિક્ષણકાર્ય ચાલતું હોઈ શિક્ષકો ઘરેથી ઑનલાઈન શિક્ષણ આપી શકે તેવી વ્યવસ્થા કરવા અથવા રોટેશન પધ્ધતિથી 50% શિક્ષકોને શાળામાં બોલાવવામાં આવે આમ બે અલગ અલગ મુદ્દાઓને લઈને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ રજૂઆત કરી છે.