Mysamachar.in-ગાંધીનગરઃ
શનિવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા મળી હતી. આ સભામાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં સૌથી ખાસ હોલ ટિકિટ મામલે લેવાયો છે. ધોરણ 10-12ના બોર્ડના વિદ્યાર્થીઓ ચાલુ વર્ષથી ઓનલાઇન હોલ ટિકિટ મેળવી શકે. અગાઉ હોલ ટિકિટ પ્રિન્ટ થયા બાદ ફિઝિકલી દરેક જિલ્લા કેન્દ્રો પરથી વિતરણ કરવામાં આવતું હતું. આ સિવાય ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીને ફરી પરીક્ષામાં બેસવાની મંજુરીની સમય મર્યાદામાં ચાર મહિનાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓ તેનું પરીણામ બોર્ડને પરત કરી નિયત સમયમર્યાદામાં પરીક્ષામાં બેસવાની મંજુરી મેળવવાની રહેશે. તો બોર્ડની સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવ્યો કે હવે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં મધ્યસ્થ મૂલ્યાંકન કરનારે દૈનિક 20 ઉત્તરવહી ચકાસવાની રહેશે. શિક્ષકો પર પરીક્ષાના પેપર તપાસવાનું ભારણ ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ દરેક શિક્ષક દૈનિક ૩૦ ઉત્તરવહી તપાસતા હતા. વધુ ઉતરવહીઓ તપાસવાને કારણે ગરબડ થતી હતી જે રોકવા શિક્ષણ બોર્ડે નવો નિર્ણય લીધો છે. આ નિર્ણય માર્ચ 2020ની પરીક્ષાના મધ્યસ્થ મૂલ્યાંકન કાર્યથી જ અમલી બનશે.