Mysamachar.in-ગુજરાત
ગુજરાત અને ગુજરાતીઓ સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. ગુજરાતી લોકોની જન્મભૂમિ ગુજરાત છે. અહીં નોંધપાત્ર રીતે અન્ય ધર્મ પાળતા લોકો ખૂબ સંખ્યામાં એકતાથી વસે છે. ગુજરાત એક અત્યંત ઔદ્યોગિકરણ પામેલું રાજ્ય હોવાના કારણે અહીં ભારતના અન્ય પ્રદેશોના અનેક લોકો આવીને રોજગાર મેળવવા સ્થાયી પણ થયેલાં છે. ગુજરાતે શિલ્પકળા, ચિત્રકળા, વણાટ, છાપકામ, કોતરણી, કાચકામ, ભરતકામ વગેરે કળાઓમાં પોતાની આગવી ઓળખ વૈશ્વિક ક્ષેત્રે ઉભી કરી છે. આ ઉપરાંત ખાસ કરીને તેની હસ્તકળા કે જેમાં રહેલી કલાત્મકતા, વૈવિધ્યતા અને સર્જનાત્મકતાને લીધે ગુજરાત સમગ્ર વિશ્વમાં પોતાની આગવી છાપ ઊભી કરી અને વિખ્યાત બન્યું છે. ભવ્યકળા, કારીગરી અને ઇતિહાસ ઇત્યાદિનો વારસો ગુજરાતને મળેલો છે. વર્તમાન સમયે તેનાં વૈવિધ્યસભર અને નવીન સ્વરૂપો જોવા મળે છે. ગુજરાત ભારત અને દુનિયાનું અનેરું નજરાણું છે.
ગુજરાત રાજ્યમાં સેંકડો પ્રાચીન-અર્વાચીન સ્થળો, આધુનિક સ્થળો, આધ્યાત્મિક સ્થાનો, ઔધોગિક કેન્દ્રો, ઐતિહાસિક સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો, અભ્યારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, યાત્રાધામો વગેરે વારસાના અને સમૃદ્ધિના પ્રતીક સમાન સ્થળો આવેલાં છે. ગુજરાતની આ સમૃદ્ધિને ભારત અને ભારત બહારના પ્રવાસીઓ ગુજરાતની સંસ્કૃતિ અને ઐતિહાસિક વિરાસતને માણવા તથા જાણવા માટે આવતા હોય છે. એક અહેવાલ અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસીની જાહેરાત કરી છે. જે અંતર્ગત ઈ.સ. 1950 પહેલાંની ઐતિહાસિક ઇમારતો, મહેલો, કિલ્લાઓ વગેરે જેવાં સ્થળોમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ બનાવી શકાશે. જેમાં આવી ઈમારતોના એક્સ્પાન્સન, રિનોવેશન, રિસ્ટોરેશન માટે રાજ્ય સરકાર નાણાંકીય સહાય પણ આપશે.
ગુજરાતને બેસ્ટ ટુરિઝમ ડેસ્ટીનેશન બનાવવાના ધ્યેય સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અભિગમમાં પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે. તેમજ ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, વાનગીઓ, ગ્રામીણ જનજીવન વગેરેને જાણવા – માણવા આવતાં દેશ-વિદેશના પ્રવાસીઓને પોસાય તેવાં દરે સ્વચ્છ અને સુવિધાયુક્ત સુવિધા સાથે કુછ દિન વધુ ગુજરાતમાં રોકાવું ગમશે. સાથોસાથ ટુરિઝમ અને હોટેલ ઈન્ડસ્ટ્રીઝમાં વ્યાપક રોજગારીની તકો ખુલશે. જે ટુરિઝમ ક્ષેત્ર આ પોલીસી એક મહત્વપૂર્ણ અને નિર્ણાયક બાબત બની રહેશે.