Mysamachar.in-અમદાવાદ
રાજ્યમાં સબંધોની હત્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં અમદાવાદના ઈસનપુરમાં ડબલ મર્ડરનો સનસનીખેજ બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે, કાકા અને માતાની હત્યા કર્યા બાદ આરોપી યુવકે પણ આત્મહત્યાનો બે-બે વખત પ્રયાસ કર્યો. છતાં યુવકનું મોત ના થતા અંતે તેણે તેના સબંધીને પોતે કરેલા ગુનાની જાણ કરી હતી. ઈસનપુર વિસ્તારમાં આવેલ સુમન સજની સોસાયટીમાં રહેતા વરુણ પંડ્યા જેણે તેની માતા અને કાકાની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વરુણે આ ઘટનાની જાણ તેના એક સંબંધીને કરી હતી. જો કે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે વરુણ લોહી લુહાણ હાલમાં જોવા મળ્યો હતો. જેથી પોલીસે તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
જો કે વરુણને સારવાર માટે મોકલ્યા બાદ ઘરમાં તપાસ કરતા તેની માતા વંદનાબેન અને કાકા અમૂલભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક જાણકારીમાં જાણવા મળ્યું છે કે, સોમવારે વરુણે તેના કાકા અને માતાની હત્યા કરી પોતે પણ ગળે ફાંસો ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે ગળેફાંસો ખાવાથી તેનું મૃત્યુ ન થતાં તેણે છરી વડે પેટના ભાગે ઘા માર્યા હતા. તેમ છતાં મોત ન થતા તે બે દિવસ સુધી લોહીલુહાણ હાલમાં રૂમમાં બંને મૃતદેહ પાસે બેસી રહ્યો હતો. આખરે કંટાળીને તેણે તેના એક સંબંધીને આ બાબતની જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે આર્થિક સંકડામણના કારણે તેણે આ પગલું ભર્યું હોય શકે છે. મૃતક અમૂલ પંડ્યા કોર્પોરેશનમાં પબ્લિક હેલ્થ ઓફિસર તરીકે કામ કરતા હતા. પરંતુ સાતેક વર્ષ પહેલાં તેઓ નિવૃત્ત થયા છે. જેમના પેન્શનથી ઘરનું ગુજરાન ચાલતું હતું. જો કે આ સમગ્ર મામલે પોલીસે FSL ની મદદ લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે. માતા અને કાકાની હત્યા કરવા પાછળ હાલના તબક્કે આર્થિક કારણ જવાબદાર હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આરોપી વરુણ કોઈ કામધંધો કરતો ન હોવાથી પરિવારમાં આર્થિક સંકડામણ રહેતાં તેને ઠપકો આપતાં તેણે આ કૃત્ય કર્યાનું અનુમાન છે. જોકે પોલીસે આ સિવાય અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ એ દિશામાં તપાસ આદરી છે.