Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં પેટાચુંટણીઓ બાદ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓની આતુરતાપૂર્વક રાજકીય પક્ષો દ્વારા રાહ જોવાઈ રહી છે, કોરોના મહામારીને જોતા આ ચુંટણીઓ પાછી ઠેલવામાં આવી હતી, એવામાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન બોડીની ટર્મ પૂર્ણ થઇ રહી છે, ત્યારે હવે આ છ મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાય એવી શક્યતાઓ જાણકારો વ્યક્ત કરે છે, જો આવું થાય તો જાન્યુઆરીમાં જાહેરનામું, ફેબ્રુઆરીમાં મતદાન અને માર્ચમાં નવા મેયર બને એવી શક્યતાઓ સુત્રો દર્શાવી રહ્યા છે,
ચુંટણીઓ યોજવા માટે રાજ્ય ચૂંટણીપંચે દરેક જિલ્લા કલેકટર પાસે કોવિડ ગાઇડલાઇન્સ હેઠળની વ્યવસ્થાઓનો રિપોર્ટ માગ્યો છે, ત્યારે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં ચૂંટણીની તૈયારીઓ માટે ભાજપ દ્વારા બેઠકોનો દૌર શરૂ થઇ ગયો છે,તો કોંગ્રેસમાં પણ આ ચુંટણીઓને લઈને સળવળાટ જોવા મળે છે, હાલના સંજોગો પ્રમાણે સુત્રોના હવાલેથી મળતી માહિતી પ્રમાણે જાન્યુઆરીના અંતમાં ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પડે, ફેબ્રુઆરીના અંતમાં મતદાન થાય અને અને માર્ચ મહિનામાં 6 મહાનગરોમાં નવા મેયર બની શકે છે. વર્તમાન શાસકોની ટર્મ ચૂંટણી સુધી લંબાવાશે એવી ચર્ચાઓ વચ્ચે હવે ચૂંટણીનો સંભવિત સમય નકકી થતાં કદાચ તમામ કોર્પોરેશન, પાલિકાઓ અને પંચાયતોમાં બે-બે મહિના માટે વહીવટદાર રહે એવી શક્યતા પણ વધવા લાગી છે, જો કે આ અંગેની કોઈ સતાવાર જાહેરાત હજુ સુધી થઇ નથી.