Mysamachar.in:જામનગર
આ ઉનાળુ વેકેશનમાં બાળકો માતાપિતા અને પરિવારો સાથે હરતાં ફરતાં હોય છે જ્યાં બાળકો ફરવાનો આનંદ લેતાં હોય છે પરંતુ વાલીઓ વિચારી રહ્યા હોય છે : વેકેશન ખૂલ્યા બાદ બાળકો નવા ધોરણમાં જશે ત્યારે, શાળામાં ફી વધારો ચૂકવવો પડશે તો ?! વાલીઓની આ ભીતિ સાચી હોય છે ! વેકેશનમાં ઘણી ખાનગી શાળાઓ સરકાર પાસે ફી વધારો મંજૂર કરાવવા, વિવિધ પ્રકારની ગોઠવણ કરતાં હોય છે. ફી વધારા માટેની દરખાસ્તો થઈ રહી છે ! સરકાર હજુ 18 તારીખ સુધી ફી વધારા માટેની આ દરખાસ્તો શાળાઓ પાસેથી સ્વીકારશે.
જામનગર સહિત દરેક જિલ્લામાં ફી વધારાની દરખાસ્ત ખાનગી શાળાઓનાં સંચાલકો પાસેથી સ્વીકારવામાં આવી રહી છે. જામનગરમાં આ પ્રકારની દરખાસ્ત મોકલી શકે તે માટે શાળાઓને 3 મે થી 18 મે સુધીનાં દિવસો આપવામાં આવ્યા છે. ત્યારબાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી આ તમામ દરખાસ્ત 24 મે આસપાસ FRC (રાજકોટ) ને મોકલી આપશે. બાદમાં, આ કમિટી ફી વધારા મંજૂર કરવાની પ્રક્રિયા હાથ ધરશે. અને ત્યારબાદ ખૂલતાં વેકેશને વાલીઓએ આ ફી વધારો શાળાઓને ચૂકવવાનો રહેશે.
જે ખાનગી શાળાઓ ફી વધારો કરવા ઈચ્છતી ન હોય, અને સરકારે ફી માટે નક્કી કરેલાં જુદાં જુદાં સ્લેબ કરતાં ઓછી ફી વસૂલતી હોવાનો દાવો કરતી હોય, તે ખાનગી શાળાઓએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને FRC સમક્ષ આ અંગે એફિડેવિટ એટલે કે સોગંદનામું રજૂ કરવાનું હોય છે. જેમાં જણાવવાનું હોય છે કે, અમે સરકાર નિર્ધારિત ફી કરતાં ઓછી ફી વસૂલીએ છીએ. આ પ્રકારના સોગંદનામા આપતી શાળાઓની સંખ્યા કાયમ મોટી હોય છે કેમ કે ઘણી બધી શાળાઓને વિદ્યાર્થીઓ મળતાં નથી ! આવી શાળાઓની ખાસ પ્રતિષ્ઠા પણ નથી હોતી અને તેમનાં પરિણામો પણ ખાસ નોંધપાત્ર નથી હોતાં.
જામનગર જિલ્લામાં શું છે આજની સ્થિતિ ??
માય સમાચાર ડોટ ઈન સાથેની વાતચીતમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ જણાવ્યું છે કે, જામનગર શહેર અને જિલ્લામાં કુલ 171 ખાનગી શાળાઓ એવી છે જેણે કચેરી સમક્ષ સોગંદનામા રજૂ કર્યા છે. જે પૈકી 67 શાળાઓ જામનગર શહેરની છે અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપે છે. આ ઉપરાંત જામનગર શહેરની 55 ખાનગી પ્રાથમિક શાળાઓએ પણ કહી દીધું : અમે ઓછી ફી વસૂલીએ છીએ. સોગંદનામું આપનાર બાકીની શાળાઓ જિલ્લાનાં અન્ય પાંચ તાલુકામાં આવેલી છે.
આ ઉપરાંત જામનગર શહેરની 7 ખાનગી પ્રાથમિક શાળાઓ એવી છે જે આ ખૂલતાં વેકેશનથી વાલીઓ પર ફી વધારો ઝીંકવા ઈચ્છે છે. આ શાળાઓએ ફી વધારા દરખાસ્ત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં આપી દીધી છે. આ સાથે જ જામનગર શહેર તાલુકાની અન્ય 11 ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ એવી છે જે ફી વધારો મંજૂર કરાવવા દરખાસ્ત મોકલી ચૂકી છે. તેની સાથે ધ્રોલની પણ બે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફી વધારો થશે. તેઓએ પણ દરખાસ્ત મોકલી આપી છે. વાલીઓ નવો બોજ સહન કરવા તૈયાર રહે ! કારણ કે, FRC ફી વધારાની દરખાસ્ત મંજૂર કરવામાં સામાન્ય રીતે ઉદારતા દર્શાવે છે ! FRC માને છે કે, મોંઘવારી વધી રહી છે.