Mysamachar.in-રાજકોટ
આફતને પણ અવસરમાં પલટી નાખનાર લોકોની કમી નથી હોતી, હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સરકાર દ્વારા ગરીબોને અનાજ મળે તે માટે અનાજનો જથ્થો આપવામાં આવી રહ્યો છે, પણ સસ્તા અનાજના અમુક દુકાનદારો તેમાં પણ કટકી કરી રહ્યાનું સામે આવે છે, અહી વાત થઇ રહી છે..રાજકોટની…જ્યાં જીલ્લા કલેકટર રેમ્યા મોહનને માહિતી મળી હતી કે નવલનગરમાં આવેલ સસ્તા અનાજના દુકાનદાર જીતેન્દ્ર સોલંકીએ મે માસનો સરકાર દ્વારા મોકલાયેલ ઘઉં-ચોખા-ખાંડનો જથ્થો લોકડાઉન અને કોરોના વિપરીત સમયમાં બારોબાર વેચી નાખે છે. જે બાદ કલેકટરે ડીએસઓ પુજા બાવડાને તપાસના આદેશો આપતા ડીએસઓ પોતે ટીમને સાથે રાખી દુકાનદારને ત્યાં પહોચ્યા હતા, જ્યાં તપાસનો ધમધમાટ શરૂ કરી મોડી સાંજ સુધી સ્ટોકની ગણતરી કરતા 45 હજારના ઘઉં-ચોખા અને ખાંડ બારોબાર વેચી નાખ્યાનું સામે આવ્યું હતું,
પુરવઠા વિભાગમાં થી જાણવા મળતી માહિતી મુજબ 66 કટ્ટા ઘઉં એટલે કે 3331 કિલો ઘઉં, 22 કટ્ટા ચોખા-એટલે કે 1150 કિલો ચોખા અને 478 કિલો ખાંડ (8 કટ્ટા) બારોબાર વેચી નાંખ્યાનું ખૂલ્યું હતું. દુકાનદારે દરોડા દરમિયાન ઓનલાઇન સ્ટોકપત્રક રજુ કરતા તે અને દુકાનમાં પડેલ હાજર જથ્થાની ગણતરી કરતા તફાવત નીકળી પડયો હતો.સરકાર વિનામૂલ્યે સતત પાંચમી વખત ગરીબો, બીપીએલ-અત્યોંદય કાર્ડ હોલ્ડરોને દુકાનદારો મારફત જથ્થો આપી રહી છે. આ દુકાનદારે બારોબાર જથ્થો વેચી નાંખ્યાનું બહાર આવતા કલેકટર ચોંકી ઉઠયા હતા અને શહેર જીલ્લાની 700 દુકાનોમાંથી જે શંકાસ્પદ હોય તે તમામ દુકાનની આકસ્મિક તપાસણી કરી ગુરૂવાર સુધીમાં રીપોર્ટ કરવા ઇન્સ્પેકટરોને આદેશ કર્યા છે.
દરોડા દરમિયાન અન્ય ગેરરીતિમાં ભાવ તથા સ્ટોકનું બોર્ડ નહોતું. એનએફએસએ બોર્ડ અને અન્ન આયોગ-ગાંધીનગરને ફરીયાદ કરવા અંગેનું બોર્ડ પણ હોય તે મુદ્દો પણ આવરી લેવાયેલ છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે ઉપરોકત સસ્તા અનાજના દુકાનદારે મે માસનો પુરવઠો કે જે રેશનકાર્ડધારકોને વિનામૂલ્યે વિતરણ કરવાનો હતો તેમાંથી દરોડા દરમિયાન બહાર આવેલ ઘટ્ટવાળો જથ્થો બારોબાર ઉંચા ભાવે વેચી નાંખ્યાનું કાળાબજારમાં ધકેલી દીધાનું બહાર આવ્યું છે. સસ્તા અનાજના દુકાનદારે આચરેલી આવી ગંભીર પ્રકારની ગેરરીતિ સંદર્ભે ડીએસઓ પૂજા બાવડાએ તાકીદે પગલા ભરી ગઇકાલે જ સસ્તા અનાજના દુકાનદાર જીતેન્દ્ર સોલંકીનું લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરી કલેકટરને રીપોર્ટ કરી દીધો છે.