Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસકામો ચાલી રહ્યા છે, તેમાં પણ શહેરમાં આકાર પામી રહેલ ફ્લાયઓવરબ્રીજ જ્યારે પૂર્ણ થશે ત્યારે જામનગર શહેરનું ઘરેણું બની જશે, આવા જ અન્ય કેટલાક પ્રકલ્પો જે આગામી સમયમાં સાકાર થશે અને જેનો લાભ શહેરીજનોને મળનાર છે તેનું ફાઈનલ વિડીયો પ્રેઝન્ટેશન આજે જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટી હોલ ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયું હતું..વધુમાં જામનગર શહેરમાં વિકાસ કામોને ગતિ કઈ રીતે મળે તે માટે યુવા સ્ટે.ચેરમેન મનીષ કટારીયા સતત પ્રયત્નશીલ રહી અને સંગઠન અને અન્ય પદાધિકારીઓ અને સભ્યો સાથે સંકલન કરી શહેરમાં વિવિધ વિકાસના આયામો સર થાય અને સમસ્યાઓનો નિકાલ થાય તે દિશામાં સતત દોડી રહ્યા છે.
ખાસ કરીને વાત કરવામાં આવે તો જામનગર શહેરના મધ્યે આવેલ લાખોટા તળાવનું બ્યુટીફીકેશન કરવામાં આવ્યું ત્યારે પાબારી હોલની બાજુની નર્સરીવાળી વિશાળ જગ્યા હાલ ખાલી પડી છે, તે જગ્યા પર મનપાએ સાયન્સપાર્ક બનાવવાનું ઘોષિત કર્યા બાદ આ અંગેની કાર્યવાહી હાલ આગળ ધપવાની દિશામાં છે, ત્યારે આ વિશાળ જગ્યા પર કઈ રીતે સાયન્સ પાર્ક આકાર પામશે તેનું ફાઈનલ વિડીયો પ્રેઝન્ટેશન યોજાયું હતું. આ સાયન્સ પાર્ક આકાર પામવાથી શહેરને અને ખાસ કરીને તળાવની પાળ પર એક નવું નઝરાણું મળી રહેશે અને ખાસ તો વિદ્યાર્થીઓ અને બાળકોના જ્ઞાનમાં પણ અહી વધારો થઇ શકે તે પ્રકારની આ સાયન્સ પાર્કની રચના હશે તેમ જાણવા મળે છે,
સાયન્સ પાર્ક ઉપરાંત જામનગર મહાનગરપાલિકા દ્વારા લોકોના પ્રશ્નોની રજૂઆત અને તેના નિકાલ માટે જે દર બે માસે સામાન્ય સભા મળે છે તે મનપાનું સભાગૃહ જર્જરિત થઇ ચૂકેલ હોય હાલ મનપાની સામાન્ય સભા છેલ્લા કેટલાક મહિનાઓથી ટાઉનહોલ ખાતે મળી રહી હોય…ત્યારે આ વ્યવસ્થા મનપા સંકુલમાં જ જળવાઈ રહે તે માટે મનપા પટાંગણની પાછળના ભાગે એક નવું અદ્યતન સભાગૃહ પણ આગામી સમયમાં નિર્માણ પામનાર હોય તે તેમજ જામનગરના ટાઉનહોલમાં જરૂરી ફેરફાર અને સુધારાઓ એટલે કે રીનોવેશન આ ત્રણ બાબતોનું ફાઈનલ વિડીયો પ્રેઝન્ટેશન આજે જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટી હોલ ખાતે યોજાયું ત્યારે
જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, મેયર બીનાબેન કોઠારી, સ્ટે.ચેરમેન મનીષ કટારીયા, ડેપ્યુટી મેયર તપન પરમાર, દંડક કેતન ગોસરાણી, શાશકજૂથ નેતા કુસુમબેન પંડ્યા તો અધિકારીઓમાં સીટી ઈજનેર શૈલેશ જોશી, પ્રોજેક્ટ પ્લાનીગ વિભાગના કાર્યપાલક ઈજનેર ભાવેશ જાની, અને કન્સલ્ટન્ટ હાજર રહી અને જરૂરી માહિતીઓ પદાધિકારીઓને આપી હતી.