Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે શાળાઓ ખુલશે કે કેમ તે અંગે આજે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાતમાં હાલ શાળાઓ નહીં ખૂલે, જેથી રાજ્યના ધોરણ 9થી 12ના વિદ્યાર્થી શાળાએ નહીં જઈ શકે. પરંતુ કેન્દ્રની ગાઈડલાઈન મરજીયાત છે. કોરોનાની પરિસ્થિતિમાં સરકારે કહ્યું કે, દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે.
કેન્દ્ર સરકારની કોરોના ગાઈડલાઈન મુજબ અને અનલૉકની નવી ગાઇડલાઇનમાં 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવાની શરતોને આધીન મંજૂરી આપી હતી. જેમાં ધોરણ 9-12ના વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષકો વિમર્શ માટે બોલાવી શકશે. તેમજ ઓનલાઇન એજ્યુકેશન માટે પણ શાળાઓ 50 ટકા સ્ટાફ બોલાવી શકશે. પરંતુ આજે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શાળાઓ ન ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્રે એ બાબત પણ ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાની એન્ટ્રી થઇ ત્યારથી એટલે કે 15 માર્ચથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. શાળાઓ બંધ થયા બાદ ફક્ત બોર્ડ પરીક્ષાઓ યથાવત રાખવામાં આવી હતી આમ રાજ્યમાં છેલ્લા 6 મહિનાથી સ્કુલો બંધ છે.