Mysamachar.in-ભાવનગર:
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SCCI) ભાવનગરનાં વેપાર-ઉદ્યોગનાં વિકાસ માટે કટિબદ્ધ છે અને આ દિશામાં અવિરત પ્રયત્નો અને પ્રવૃત્તિઓ કરી રહેલ છે.જુલાઈ-2020 માં કિરીટભાઈ સોનીએ પ્રમુખપદનો કાર્યભાર સંભાળ્યા પછી કોરોનાકાળ દરમિયાન પણ આ પ્રયત્નો વધારે વેગવંતા બન્યાં હતાં. ભાવનગરમાં નવા ઉદ્યોગોની સ્થાપના થાય અને તેના માધ્યમથી આર્થિક અને રોજગારીમાં ઉન્નતી થાય તે દિશામાં ચેમ્બર સતત પ્રયત્નશીલ છે અને તેમાનો એક પ્રયત્ન ભાવનગરને કન્ટેઈનર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો છે.દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં “આત્મનિર્ભર ભારત અભિયાન” અંતર્ગત ભાવનગર જીલ્લાના પનોતા પુત્ર અને કેન્દ્રનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ અને કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી મનસુખ માંડવિયાની દીર્ઘદ્રષ્ટિ અને દિશાદર્શનથી ભાવનગર કન્ટેનર મેન્યુફેક્ચરીંગ હબ બને તે દિશામાં સક્રીય કામગીરી થઇ રહેલ છે.
જેમાં મંત્રી મનસુખ માંડવિયા સક્રિય રસ લઇ સતત સહયોગ અને માર્ગદર્શન આપી રહ્યાં છે. આ બાબતમાં નેશનલ શીપીંગ બોર્ડનાં મેમ્બર રાહુલ મોદીને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. આ પ્રયત્નોના ફળસ્વરૂપે ભાવનગર ખાતે કન્ટેનર મેન્યુફેક્ચરીંગ માટેના બે એકમોની સ્થાપના થઇ ચૂકેલ છે. આ બે એકમો પૈકી આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી.(APPL કન્ટેનર્સ પ્રા.લી.) ને દેશનો પ્રથમ દશ હજાર ISO શિપિંગ કન્ટેનર બનાવવા માટેનો ઓર્ડર ભારત સરકારની નવરત્ન PSU કંપની પૈકીની એક એવી કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ(કોનકોર) દ્વારા અપાયેલ છે.
APPL કન્ટેનર્સ પ્રા.લી.નાં ડાયરેક્ટર હસમુખ વિરડીયા અને વલ્લભવિરડીયાએ આ ઓર્ડરને સ્વીકારી પડકાર ઝીલી લીધેલ છે જે માત્ર ભાવનગરનું જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ ગણી શકાય તેમ છે.શીપ બ્રેકીંગ ઉદ્યોગમાં ભાવનગર જીલ્લાના અલંગનું નામ વિશ્વનાં ફલક પર છે તે જ પ્રમાણે હવે કન્ટેનર મેન્યુફેક્ચરીંગમાં પણ ભાવનગર અગ્રીમ બને તેવા ઉજળા સંજોગો નિર્માણ થઇ રહ્યાં છે. કન્ટેઈનર મેન્યુફેક્ચરીંગ હબની સ્થાપનાને પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન મળે તે હેતુથી ઇન્ટર મીનીસ્ટ્રીયલ કમિટીની સૂચનાથી કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લિમિટેડ(કોનકોર)નાં સીએમડી વી. કલ્યાણ રામા અને તેમની ટીમ ભાવનગરની મુલાકાતે આવી હતી.
ભાવનગરની આ મુલાકાતમાં તેઓએ કન્ટેઈનર મેન્યુફેક્ચરીંગ કરતાં એકમો AAPL કન્ટેનર્સ પ્રા.લી. અને એસ. મોહનલાલ કાર્ગો કન્ટેનર્સ પ્રા.લી.ની રૂબરૂ મુલાકાત લઇ આ બન્ને એકમોની કામગીરીનું ઝીણવટપૂર્વક અવલોકન કર્યું હતું અને બન્ને એકમોની કામગીરી અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત આ ટીમ દ્વારા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં હોદ્દેદારો, અગ્રગણ્ય ઉદ્યોગ સાહસિકો, સરકારી અધિકારીઓ વગેરે સાથે રાઉન્ડ ટેબલ મીટીંગનું આયોજન કરી ભાવનગર કન્ટેનર મેન્યુફેક્ચરીંગનું હબ બને તે માટે ચર્ચા-વિચારણા કરી માર્ગદર્શન આપ્યું હતું.આ બેઠકમાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વી. કલ્યાણ રામ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંતોષસિંહ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જી. રવિકુમાર, અમદાવાદ ક્લસ્ટરના એ.કે. સિંહ, ભાવનગર રેલવે ડિવિઝનલ મેનેજર મનોજ ગોયલ, સિનિયર ડી.સી.એમ. માશુક અહેમદ, શિપિંગ વિભાગના રાહુલ મોદી તથા ભાવનગરના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.