Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના ગ્રામીણ વિસ્તારના વિકાસની જવાબદારી માટે લોકોએ જેને ચુંટીને મોકલ્યા છે તે જામનગર જીલ્લા પંચાયતના શાશકો ગ્રામીણ વિસ્તારમાં સુવિધાઓ કરાવવા માટે ખાસ કાઈ સજ્જ હોય કે તેની પાસે કોઈ વિઝન હોય તેમ લાગતું નથી, અને હા જે રીતે જામનગર મહાનગરપાલિકામાં લેવાતા દરેક નિર્ણયોમાં સંગઠનનો રોલ કાયમી રહ્યો છે અને દરેક જગ્યાએ “સંકલન”થાય છે, પણ એ જ પાર્ટીના જીલ્લાના હોદેદારોને પ્રમુખથી માંડીને તમામને કાઈ ખાસ રસ જીલ્લા પંચાયતમાં હોય તેમ લાગતું નથી.વર્ષો સુધી ભાજપનું શાશન જામનગર જીલ્લા પંચાયતમાં રહ્યું વચ્ચે પાંચેક વર્ષ કોંગ્રેસ ધા મારી ગયું પણ પાછું ફરી શાશન તો ભાજપનું જ છે. કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં જામનગર જીલ્લા પંચાયતના પ્રમુખથી માંડીને સભ્યો સુધી સૌ કોઈ (જે એકાદ દિલથી વિસ્તાર માટે સક્રિય હોય તે અપવાદ) પોત પોતાનામાં વ્યસ્ત છે.
જીલ્લા પંચાયતની સભ્યોની ફરજ છે કે તેના વિસ્તારોમાં આવતા ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય, સફાઈ, શિક્ષણ, સિંચાઈ, રોડ રસ્તા, લાઈટ સહિતની સુવિધાઓના કામો થાય પણ અહી તો પ્રમુખ સહિતના બધા હોદા મેળવીને માભા મારવામાં વ્યસ્ત હોય તેવો ગ્રામીણ પ્રજામાંથી વાતો વાતોમાં સાંભળવા મળે છે.અરે ત્યાં સુધી કે કેટલાક ગામો અને વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવે છે અને તેની સાથે દેખીતો ભેદભાવ પણ રાખવામાં આવે છે, ભલે સરકાર આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરે જામનગરની ગ્રામ્ય વિસતારની પ્રજા હેરાન થઇ રહી છે.તો આ મામલે જીલ્લા પંચાયતની જવાબદારી શું? સ્થાનીક સ્વરાજ્યનુ મહત્વ શુ? કારમા ફરવુ.? એસીમાં બેસવું.? અને ચા પાણી પી અને ટપાકા મારવા…?
વધુમાં જામનગર જીલ્લા ભાજપનું સંગઠન પણ મતોની રાજનીતિ કરવા સિવાય પ્રજાલક્ષી કામો થાય તે માટે પંચાયતના સતાધીશોને ટકોર કરતું નથી કે ટકોર કરતા હોય તો કોઈ માનતું નથી..? તેવી સ્થિતિ લાગે છે. એક તો ભાજપ શાષિત જીલ્લા પંચાયત છતાં ટચૂકડું બજેટ અને વિકાસ કોનો.? તે સૌ જાણે છે.એવામાં ગઈકાલ જ ભાજપ શાષિત જીલ્લા પંચાયતમાં શાશકપક્ષના જ એક સભ્યએ કામોની બાદબાકી મુદ્દે લડી લેવાની વાત કરી અને મામલો પ્રદેશ સુધી પહોચશે તેમ પણ કહી દીધું, ત્યારે જાણકારો કહે છે કે સ્થાનીક ભાજપ સંગઠનનો કોઈ રોલ જીલ્લા પંચાયત સાથે સીધો નથી માટે આવું હોય શકે..?