Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી હાથ ધરવામાં આવી છે આ કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ બનાવટની કામગીરી આજથી જામ્યુકોના કોમ્યુનિટી હોલમાં હાથ ધરવામાં આવી છે આ કામગીરીનું અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રતિવર્ષ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સરકારી કચેરીઓ, શાળા, કોલેજો ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે પરંતુ આ વર્ષે સમગ્ર દેશની શાન સમા રાષ્ટ્રધ્વજને ઘેર-ઘેર લહેરાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે, આથી આ અભિયાનને વેગ આપવા માટે સખી મંડળના બહેનો દ્વારા તિરંગાની બનાવટની કામગીરી હાથ ધરવામાં આવી છે,
જામનગર મહાનગરપાલિકા ખાતે 2 લાખ તિરંગાનું આગમન થયેલ હોય, આ તિરંગાની સ્ટીક અને તિરંગો બંને અલગ-અલગ હોય જેને જોડી અને બહેનો દ્વારા સંપૂર્ણપણે તિરંગો તૈયાર કરવામાં આવી રહ્યો છે, હર ઘર તિરંગા કાર્યક્રમમાં ઉપયોગમાં લેવામાં આવનાર તિરંગાની બનાવટ જામનગરના સખી મંડળના 50 બહેનો દ્વારા હાથ ધરવામાં આવી છે, તિરંગાની બનાવટમાં રેશમ અને ખાદીના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ તેમાં કાસ્ટની સ્ટીકનું ફીટીંગ સખી મંડળના બહેનો દ્વારા કરવામાં આવી રહ્યું છે ,આ કામગીરીને નિયત સમયમાં પરિપૂર્ણ કરવાની હોય તે માટે આજે જામ્યુકોના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી સખી મંડળના બહેનોને સુચના આપી હતી.
હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જામનગરવાસીઓને પૂરતા પ્રમાણમાં રાષ્ટ્રધ્વજ મળી રહે તે માટે સખી મંડળના બહેનોનો સહારો લઇ જામનગર મહાનગરપાલિકા દ્વારા તિરંગાની બનાવટને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ,આ કામગીરીનું સુચારુ સંચાલન થાય અને નિયત સમયમાં કામગીરી પૂર્ણ થાય તે માટે કમિશનર વિજય કુમાર ખરાડી, નાયબ કમિશનર એ.કે.વસ્તાણી, આસી. કમિશનર બી.જે. પંડયા, સિટી એન્જિનિયર ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ નોડલ ઓફિસર અશોક જોષી, UCD શાખાના મેનેજરો, સમાજ સંગઠકો, આ કામગીરીને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.