Mysamachar.in-જામનગર
જામનગર નજીક આવેલ ખીજડીયા પક્ષી અભયારણ્યને 2 દિવસ પૂર્વે જ કેન્દ્ર સકરાર દ્વારા રામસર સાઈટ તરીકે ઘોષિત કરવામાં આવી છે, તો આ જ ખીજડિયા પક્ષી અભયારણ્ય નજીક સચાણા ગામે વર્ષ ૨૦૧૨થી બંધ થયેલું સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ પુનઃ શરુ કરવાની રાજ્ય સરકારે ગત વર્ષે જાહેરાત ક્યાં બાદ શીપ બ્રેકીંગ યાર્ડ શરુ કરવા સામે પર્યાવરણ તેમજ દરિયાઈ જીવ સૃષ્ટિને થતા નુકશાનને મામલે જામનગરના એક રહીશે પુનાની ગીન ટ્રીબ્યુનલમાં કેસ દાખલ કરતાં ગ્રીન ટ્રીબ્યુનલે સરકારને નોટિસ આપી ચાર અઠવાડીયામાં સ્થળ પરની વાસ્તવિક સ્થિતિનો રૂબરૂ મુલાકાત લઈને રિપોર્ટ આપવા તેમજ અઠવાડીયામાં સોગંદનામા રજુ કરવા નિર્દેશ કર્યો છે.
વર્ષો સુધી બંધ રહેલ આ સચાણા શિપ બ્રેકીંગ યાર્ડને વર્ષ 2020માં રાજ્ય સરકારે ફરી શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ ગત માસમાં પુના ખાતેની ગ્રીન ટ્રીબ્યુનલની વેસ્ટર્ન બેન્ચ સમક્ષ જામનગરના પર્યાવરણ ક્ષેત્રે 4 દાયકાથી સક્રિય સુરેશભટ્ટે ગુજરાત સરકાર, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ, રેવન્યુ અને પોર્ટ એન્ડ ટ્રાન્સ્પોર્ટ વિભાગ, જીએમબી, વન વિભાગની જુનાગઢ ખાતેની સેટલમેન્ટ ઓફીસ જામનગર કલેક્ટરેટને જોડતો કેસ દાખલ કર્યો હતો. જેમાં તેઓએ પર્યાવરણના કાયદાના પાલન અંગેના વિવિધ મુદ્દાઓ ટ્રીબ્યુનલ સમક્ષ રજુ કર્યા હતા. અને કઈ રીતે આ શિપ બ્રેકીંગ યાર્ડ શરુ થાય તો નુકશાની થઇ શકે તેની વિસ્તૃત છણાવટ કરી હતી જેના પરથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે વાસ્તવીક સ્થિતિનો ચિતાર રજુ કરવા નિર્દેશો કર્યા છે.
સચાણા ગામે વર્ષ 1977મા શીપબ્રેકીંગ યાર્ડ શરુ થયું હતું. જે જગ્યા શીપ બ્રેકીંગ યાર્ડ માટે ફાળવવામાં આવી હતી. એપ્રિલ 2012માં ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા યાર્ડના 18 જેટલા પ્લોટ હોલ્ડર્સને તેઓની ધંધાકીય પ્રવૃતિ બંધ કરવા જાણ કરાઈ હતી. આ મામલો હાઈકોર્ટમાં ગયો હતો. 2020 માં સરકાર દ્વારા સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ પુન: શરુ થવા અંગે જાહેરાત કરાઈ હતી.