Mysamachar.in-જામનગર:
એક તરફ જોડિયા પંથકમાં રેતી ચોરીએ માજા મુકી છે, તો બીજી તરફ ગૌચર કે સરકારી જમીનમાં થઇ રહેલી રેતી ચોરીની તપાસની મનાઇ છે, તેવો વિચિત્ર જવાબ ખનીજ અધીકારીએ એક રજુઆતકર્તાને આપતા આશ્ર્ચર્ય તો ફેલાયુ હતું પણ આ વાતચીતના ઓડિયો વાયરલ થયાની ગણતરીની દિવસોમાં જ આર.આર.સેલે દરોડા પાડતા ખાણખનીજ વિભાગ અને તેમની કામ કરવાની દાનત પણ સ્પષ્ટ થઇ છે, અને ઉલટાના વધુ આક્ષેપો શરુ થયા છે.
ખરેખર લીઝ મંજુર થયા સિવાયના કોઇ પણ વિસ્તારમાંથી ગૌણ કે મુખ્ય ખનીજોનુ ગેરકાયદે ખોદકામ થતુ હોય તો તે ગુનો બને જ છે અને પગલા લેવાના થાય જ છે તેમ છતા બાલંભામા થઇ રહેલી બેફામ રેતી ચોરી અંગે પગલા ન લેવાતા આશ્ચર્ય વચ્ચે સીધી જ રેંજ આઈ.જી.ની ટીમે દરોડો પાડતા સ્થાનિક તંત્રનું નાક કપાઈ ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, થોડા દિવસો પૂર્વે જ કોઈ આ વિસ્તારના કોઈ સ્થાનિકે ખાણખનીજ અધિકારી સાથે વાતચીત કરતા તેને જવાબ મળ્યો હતો કે સરકારી ખરાબામાં તપાસ ના થાય…આ સંજોગોમાં લીઝના હદ નિશાનો દેખાય તે રીતે ઉભા કરાવી આ લીઝ વિસ્તાર બહારના ભાગે થયેલ ખોદકામની તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે અને જો તલસ્પર્શી તપાસ થાય તો મોટાપાયે સમગ્રપણે “ગોઠવાયેલો” ભ્રષ્ટાચાર સામે આવે તેમ હોવાનું જણાવાયુ હતુ.