Mysamachar.in:જામનગર
સમગ્ર રાજયની સાથેસાથે જામનગરમાં પણ વિધાનસભા ચૂંટણીની જબ્બર તૈયારીઓ ચાલી રહી છે. ટૂંકા સમયગાળામાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી વખત જામનગર આવી રહ્યા છે. તેઓની આગામી મુલાકાતને, ચૂંટણી સંદર્ભે સમગ્ર હાલારમાં વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનની મુલાકાત અંગે સતાવાર જાહેરાત થઈ ચૂકી છે. અત્રે નોંધનીય છે કે, આ અગાઉ Mysamachar.in દ્વારા વડાપ્રધાનની 10ઓકટોબરની જામનગર મુલાકાત અંગે સૌ પ્રથમ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન 10મી ઓક્ટોબરે, સોમવારે સાંજે, સંભવતઃ પાંચ વાગ્યે પ્રદર્શન મેદાનમાં પહોંચશે અને જંગી જાહેરસભાને સંબોધન કરશે.વડાપ્રધાનની મુલાકાત પૂર્વેની તમામ તૈયારીઓ અંગે કલેકટર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. સાંસદ પૂનમબેન માડમએ આ બેઠકમાં કલેકટર ડો. સૌરભ પારધી સહીતનાં સંબંધિત અધિકારીઓ સાથે તૈયારીઓની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા. વડાપ્રધાન જામનગરમાં રાત્રિરોકાણ કરશે કે કેમ ? તે અંગે સુરક્ષા એજન્સીઓ દ્વારા હજુ સુધી કોઈ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી. શક્ય છે તેઓ જાહેરસભામાં સંબોધન પછી તુરંત જામનગરથી વિદાય લ્યે. પરંતુ રાત્રિરોકાણનો કાર્યક્રમ હજુ સુધી અનિશ્ચિત છે.આ બેઠકમાં જીલ્લાના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત મેયર બિનાબેન કોઠારી, શહેર ભાજપા અધ્યક્ષ વિમલ કગથરા, જિલ્લા ભાજપા અધ્યક્ષ રમેશ મુંગરા વગેરે હાજર રહ્યા હતાં.