Mysamachar.in-જામનગર
ધન્વંતરી જયંતીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જામનગર સ્થિત ITRA સંસ્થાને ” રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન ” તરીકે જાહેર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિને ભારતનો વારસો ગણાવી સ્પષ્ટપણે કહ્યું હતું કે, આયુર્વેદના સેવનમાં જ માનવજાતની ભલાઈ છે. કોવિડ-19 મહામારીના સમયમાં ભારતનું આ પારંપરિક આરોગ્યલક્ષી જ્ઞાન અન્ય દેશોને પણ મદદકર્તા સાબિત થઇ રહ્યું છે, જેના કારણે સમગ્ર વિશ્વમાંથી આયુર્વેદ ચિકિત્સાને સમર્થન સાંપડી રહ્યું છે,
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન માટે સમગ્ર દુનિયામાંથી ભારતની પસંદગી કરવા બદલ વડાપ્રધાન મોદીએ સંસ્થાના મહાનિર્દેશક ટેડ રોસ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે, ભારત પાસે આરોગ્ય સાથે જોડાયેલી આયુર્વેદરૂપી બહુ મોટી વિરાસત છે. આ જ્ઞાન વધુ શાસ્ત્ર – પુસ્તકોમાં જ રહયું છે. આ જ્ઞાનને આધુનિક આવશ્યકતા મુજબ વિકસીત કરવું અતિ આવશ્યક છે. અને તેથી જ 21મી સદીમાં આધુનિક વિજ્ઞાન સાથે આ જ્ઞાનને જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય હાથ ધરાયું છે.
વડાપ્રધાનએ કોરોનાના ઉપચાર માટે તબીબી જગતની તમામ ઉપલબ્ધ પદ્ધતિઓનો સમન્વય થઇ રહ્યો હોવાનું જણાવતાં કહયું હતું કે, આયુષ મંત્રાલય આજે રાષ્ટ્રીય આરોગ્ય નીતિનું મહત્વનું અંગ સાબિત થઇ રહ્યું છે, અને ભારતમાં પૌરાણિક અને આધુનિક તબીબી જગતનો સમન્વય થઇ રહ્યો છે. દેશમાં કાર્યરત વેલનેસ સેન્ટર પૈકી સાડા બાર હજાર સેન્ટર માત્ર આયુર્વેદ ચિકિત્સા પર આધારિત છે. સમગ્ર ભારતમાં કોરોના અંકુશમાં છે, તેમાં આયુર્વેદનો મોટો ફાળો હોવાનું પણ વડાપ્રધાનએ સ્વીકાર્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતની નવી શિક્ષણ નીતિમાં પણ આરોગ્ય ચિકિત્સાઓમાં આયુર્વેદ પદ્ધતિનો વધુ વ્યાપ થાય તે હેતુથી એલોપથીનો અભ્યાસ કરતા ચિકિત્સકો માટે પણ આયુર્વેદનું જ્ઞાન અને આયુર્વેદના ચિકિત્સકોને પણ એલોપથીનું જ્ઞાન આપવામાં આવશે. સસ્તી અને પ્રભાવી ચિકિત્સા સાથે પ્રિવેન્ટિવ હેલ્થ કેર અને વેલનેસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી ભારત વિશ્વ માટે વેલનેસનું કેન્દ્ર બનશે. કોરોના કાળમાં ભારતની આયુર્વેદ પદ્ધતિનો વિશ્વમાં પ્રભાવ વધ્યો છે, આયુર્વેદ દવાઓ નિકાસમાં વધારો થયો છે, આજે અનેક દેશો હળદર આદુ વગેરે જેવી ઔષધીય ગુણો ધરાવતા મસાલાઓની પણ ભારત પાસેથી વધુ પ્રમાણમાં આયાત કરી રહ્યા છે.
જામનગર ખાતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે, દૈવી શક્તિ અને આસુરી શક્તિ દ્વારા સમુદ્ર મંથન કરાયું હતુ જેમાંથી લોકોના દુઃખ દૂર કરવા જેવી રીતે ભગવાન ધન્વંતરીનું અવતરણ થયું હતુ. તેવી જ રીતે ધન્વંતરી દિને આજે ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA) સંસ્થાનું પણ અવતરણ થયું છે. જે જનસામાન્યની આરોગ્ય સુખાકારી માટે મહત્વપૂર્ણ બની રહેશે.
જામનગર ખાતે આજે યોજાયેલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA) સંસ્થાનું ઈ-લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રમોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું હતુ. આ લોકાર્પણ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિની સાથે કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી શ્રીપાદ નાયક, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી બન્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, સમાજના પ્રત્યેક વ્યક્તિ માટે આયુર્વેદ ઉપકારક રહયું છે, જેને ધ્યાને લઇ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આયુર્વેદના વિકાસની સાથે જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીને આગળ વધારવા કરેલા સંનિષ્ઠ પ્રયાસોના પરિણામે આજે આપણે આયુર્વેદ ક્ષેત્રે ખૂબ સારી પ્રગતિ કરી શક્યા છીએ. મુખ્યમંત્રીએ કહયું હતું કે, ભગવાન ધન્વંતરીના મંદિર રૂપી જામનગરની આ આયુર્વેદ યુનિવર્સિટી આજે રાષ્ટ્રીય સ્તર ઉપરની સ્વાસ્થ્ય સંસ્થા તરીકે પ્રસ્થાપિત થઇ રહી છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. રાજકોટ ખાતે સ્થપાનાર એઇમ્સ અને જામનગરની આ આયુર્વેદ યુનિવર્સિટીને મળેલ ‘‘રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન’’નો દરજ્જો એ ભારત સરકાર તરફથી ગુજરાતને આરોગ્યક્ષેત્રે મળેલી મોટી ભેટ છે.
દિપપ્રાગટયથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ આમંત્રિતોને સન્માનપત્ર એનાયત કરાયા હતા. આ પ્રસંગે કૃષિ અને વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુ, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેન મનહર ઝાલા, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, રાજયના આરોગ્ય સચિવ જયંતી રવિ, જામનગરના પ્રભારી સચિવ નલીનભાઇ ઉપાધ્યાય, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ડાયરેકટર અનુપ ઠાકર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.