Mysamachar.in:જામનગર
તાજેતરમાં જામનગર સહિત રાજ્યભરમાં ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાઓનાં જે પરિણામો જાહેર થયા તે પૈકી જે શાળાઓનું પરિણામ ખૂબ ઉંચુ આવ્યું છે તે શાળાઓની વિગતો કાલે રવિવારે ઉતાવળે અને બિનસત્તાવાર રીતે માંગવામાં આવતાં શાળા સંચાલકોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. શાળા સંચાલકો સાથે સંકળાયેલા સૂત્રો જણાવે છે કે, કાલે રવિવારે જામનગર સહિત રાજ્યભરમાં ધોરણ 10 માં તાજેતરમાં 80 ટકા કરતાં વધુ પરિણામો પ્રાપ્ત કરનાર શાળાઓની વિગતો રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા બિનસત્તાવાર રીતે મંગાવવામાં આવી છે. જો કે આ અંગે કોઈ પરિપત્ર જાહેર કરવામાં નથી આવ્યો અને આ વિગતો ઉતાવળે, રજાનાં દિવસે મંગાવવામાં આવતાં ચર્ચાઓ શરૂ થઈ છે.
રવિવારે સોશિયલ મીડિયા માધ્યમથી આ વિગતોની સાથેસાથે આવી શાળાઓ ધોરણ 6 થી 8 નાં વર્ગો ધરાવે છે કે કેમ ? તેની પણ વિગતો માંગવામાં આવી છે. એટલે શાળા સંચાલકો એવું અનુમાન કરી રહ્યા છે કે, રાજય સરકાર નવી જ્ઞાનસેતુ શાળાઓની યાદી બનાવવા આ વિગતો એકત્ર કરી રહી હોય શકે. જો કે શાળા સંચાલકોને પ્રશ્ન એ છે કે, જે ખાનગી શાળાઓ જ્ઞાનસેતુ શાળા બનવા ઇચ્છતી નથી, જે શાળાઓએ આ માટે મંજૂરી મેળવવા કોઈ પ્રક્રિયા કરી નથી તેવી શાળાઓ પાસેથી પણ આ વિગતો મંગાવવામાં આવી હોય, શાળા સંચાલકો એવું પણ અનુમાન કરી રહ્યા છે કે – સરકાર અમુક શાળાઓને જ્ઞાનસેતુ ટેગ ધરાર આપશે !
-જિલ્લા શિક્ષણાધિકારી શું કહે છે ?
આ સમગ્ર વિષય સંદર્ભે Mysamachar.in સાથેની વાતચીતમાં જિલ્લા શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટે જણાવ્યું છે કે, જે શાળાઓ સ્વૈચ્છિક રીતે જ્ઞાનસેતુ શાળા તરીકેની મંજૂરી મેળવવા ઇચ્છતી હોય તેવી શાળાઓએ પાછલાં ત્રણ વર્ષનાં ધોરણ 10 નાં પોતાની શાળાનાં ઉંચા પરિણામોની વિગતો શિક્ષણ વિભાગને મોકલવાની રહે છે. જો કે કાલે રવિવારે ઉતાવળે શાળાઓ પાસેથી આ વર્ષનાં ઉંચા પરિણામોની જે વિગતો રાજ્યભરમાં માંગવામાં આવી છે, તે અંગે બોલવાનું જિલ્લા શિક્ષણાધિકારીએ ટાળ્યું હતું. અને અગાઉની સત્તાવાર જાહેરાતનો જ પુનરોચ્ચાર કર્યો હતો.