Mysamachar.in:જામનગર
દર વર્ષે ચોમાસા પૂર્વે જામનગર મહાનગરપાલિકા પ્રિ મોન્સુનનાં રૂપકડાં નામ હેઠળ લખલૂંટ ખર્ચ કરે છે, આ વર્ષે તો અગાઉનાં વર્ષો કરતાં પણ વધુ ખર્ચ કરવાનું ‘આયોજન’ અમલમાં પણ મૂકી દેવામાં આવ્યું છે. પરંતુ આ વર્ષે વિપક્ષ કલર દેખાડવાના મૂડમાં હોવાનું જાણવા મળે છે. આ વર્ષે, અગાઉનાં વર્ષોમાં ચાલેલી અને દોડેલી લાલિયાવાડી ચાલશે નહીં – એ મતલબની ગર્ભિત ચીમકી નેતા વિપક્ષ ધવલ નંદાએ આપતાં કોર્પોરેશનમાં દોડધામ મચી હોવાનું જાણવા મળે છે.
નેતા વિપક્ષ કહે છે : કોર્પોરેશન દર વર્ષે પ્રિ મોન્સુન કામગીરીનાં નામે તોતિંગ ખર્ચ કરે છે. પરંતુ તેમાં લાગતાં વળગતા લોકોને જ કોન્ટ્રાક્ટની લ્હાણી કરી દેવામાં આવે છે. દર વર્ષે કેવી અને કેટલી સફાઈ થાય છે ? તે પ્રશ્નનો જવાબ વરસાદને કારણે, દર વર્ષે છતો થઈ જાય છે. તેઓએ એમ પણ કહ્યું છે કે, આ વર્ષે કોર્પોરેશન પાસે આ કામગીરી માટે ઓછો સમય છે. આયોજનમાં વિલંબ થયો છે. આટલાં ટૂંકા સમયમાં કામગીરી કેવી રીતે પૂર્ણ થશે ?!
દર વર્ષની માફક આ વર્ષે પણ કોર્પોરેશને પ્રિ મોન્સુન કામગીરીમાં લોલંલોલ ચલાવવા ગોઠવણ કરી છે પરંતુ ભૂતકાળમાં જે થયું તે થયું, આ વર્ષે લાલિયાવાડી ચાલવા દેવામાં આવશે નહીં – એ મતલબની ચિમકી નેતા વિપક્ષ દ્વારા આપવામાં આવી છે. અને જણાવાયું છે કે, પ્રિ મોન્સુન કામગીરીમાં કોઈ પણ પ્રકારની નબળાઈ ચલાવી લેવામાં આવશે નહીં. કામગીરી નબળી થશે તો, વિપક્ષ દ્વારા આ મુદ્દે આકરૂં વલણ અખત્યાર કરવામાં આવશે અને કોર્પોરેશનમાં જોયા જેવી થશે.
નેતા વિપક્ષ ધવલ નંદાએ કહ્યું કે, પ્રિ મોન્સુન કામગીરી માટે આ વર્ષે સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.120 લાખનો ખર્ચ મંજૂર કર્યો છે. પ્રિ મોન્સુન કામગીરી પાછળ ખરેખર તો રૂ.60 લાખ પણ ખર્ચ કરવામાં આવશે નહીં ! કોર્પોરેશન ભાજપાનાં સગાં વહાલાંઓને આ કામ આપે છે ! શાસકપક્ષનાં અમુક લોકો આ કંપની સાથે સંડોવાયેલા પણ હોય છે. જેને કારણે, ઓછું કામ કરી વધુ નાણાંનાં બિલો બનાવી કરદાતા નગરજનોનાં નાણાંની બરબાદી કરવામાં આવશે. કોર્પોરેશન દર વર્ષે આ પ્રકારની કામગીરી પાછળ લખલૂંટ ખર્ચ, કાગળો પર કરે છે અને દર વર્ષે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જાય છે ! આ વર્ષે આ કામગીરી યોગ્ય રીતે થવી જોઈએ નહીંતર જોયા જેવી થશે એવી ગર્ભિત ચીમકી નેતા વિપક્ષ દ્વારા આપવામાં આવી છે.