Mysamchar.in-જામનગર:
જામનગર શહેરમા દિનપ્રતિદિન રખડતા ભટકતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે, મહાનગરપાલિકા માત્ર જાહેરનામાં બહાર પાડી પોતાની સલામતી કરી લે છે ને અમુક ઢોરને ડબ્બામા પૂરી દઈને ડબ્બા હાઉસફુલ થઇ ગયા તેમ નિવેદન આપી દે છે,તેવામાં જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા એક જાગૃત નાગરિકે પોતાના વકીલ મારફત એસપી ને ફરિયાદ અરજી આપી ઢોરમાલિક અને મનપાના જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ સામે ગુન્હો નોંધવા ફરિયાદ અરજી કરી છે, જામનગરના 56 દિગ્વિજય પ્લોટમાં વસવાટ કરતાં હરીશભાઈ જમનાદાસ મકવાણાએ તેમના વકીલ ગીરીશ સરવૈયા મારફત એસ.પી. જામનગરને સંબોધી જે અરજી કરી છે, તે અક્ષરશ: નીચે પ્રમાણે છે.
શહેરમાં જામનગર મહાનગરપાલિકાની હદમાં વસવાટ કરીએ છીએ મારા સંતાનો બ્રાસપાર્ટનું કારખાનું ચલાવે છે. આ કામના તહોમતદાર જામનગર મહાનગરપાલિકા છે, અને તે અમારા સહિતના પ્રજાજનો પાસેથી ધારા ધોરણસરના કરવેરા ઉઘરાવે છે તથા જામનગર મહાનગરપાલિકાની કાનૂની ફરજ તથા જવાબદારી છે કે જામનગર શહેરમાં રખડતા ઢોરોને પકડી ડબ્બામાં પુરવાની તેઓની ફરજ તથા જવાબદારી છે…મારા પૌત્રનું નામ દેવાંશ રીતેશભાઇ મકવાણા છે, તે હરીયા સ્કૂલમાં ધોરણ 5 માં અભ્યાસ કરે છે અને તે ટ્યુશનમાં જાય છે ગઈકાલ તારીખ 23-9-19 ના રોજ રાતના આઠેક વાગ્યાના અરસામાં મારો પૌત્ર દેવાંશ ઉં.વ.-11, 56 દિગ્વિજય પ્લોટ, કૌશલ મકાનની સામે ખુશ્બુ સોહિલ મકવાણા સાથે ઘર તરફ જઈ રહેલ હતા તે સમયે એક રખડતા ઢોર ગાય દ્વારા પાછળથી સગીર પૌત્ર દેવાંશ ને ઢીંક મારી પછાડી દીધેલ અને તેના માથા ઉપર પગ દઈ દેતા દેવાંશ ને શરીરમાં ઇજા થયેલ છે તથા દેવાંશ ની સાથે તેનું દફ્તર હતું તે દફતર ભાંગીને ભુક્કો બોલી ગયેલ છે. આ અકસ્માતના કારણે સગીર દેવાંશ ખૂબ જ હેબતાઈ ગયેલી અને એકદમ રોવા લાગેલ અને તેને અમારા ઘરે લાવેલ સદનસીબે દેવાંશનું દફતર દેવાંશના માથા ઉપર આવી જતા તેનો જીવ બચેલ છે.
અકસ્માતનો બનાવ જામનગર મહાનગરપાલિકાના જવાબદાર શાખાના અધિકારી કર્મચારીઓ દ્વારા આવા રખડતા ઢોરને નહીં પકડવાના કારણે બનેલી છે તે માટે જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ શાખાના જવાબદાર કર્મચારી અધિકારીઓની જવાબદારી છે તે ઉપરાંત જે ગાય દ્વારા ઢીક મારેલ છે તે ગાયના માલિક પણ અકસ્માત માટે જવાબદાર છે અને તે ઢોલના માલિકે પોતાના ઢોરને જામનગર મહાનગરપાલિકા નું જાહેરનામું હોવા છતાં જાહેર રસ્તા ઉપર છુટા મૂકી દઈ જાહેરનામાનો ભંગ કરેલ છે.
જેથી અમારી આપ સાહેબ ને અરજ છે કે અમારા પૌત્ર દેવાંશ રીતેશભાઇ મકવાણા ને તા. 23-4-2019 ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં 56 દિગ્વિજય પ્લોટ, કૌશલ મકાનની સામેના ભાગે રખડતાં ઢોર દ્વારા ઢીંક મારી પછાડી દઇ શરીરને મુંઢ ઇજા પહોંચાડે હોય તે બાબતે જામનગર મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી કર્મચારી સામે તથા ઢોરના માલિક સામે ધોરણસર ગુન્હો નોંધાવી પગલાં લેવા અરજ છે તથા તેને સખત નશીયત પહોંચાડવામાં અરજ છે અમોને ન્યાય આપવા અરજ છે મારા સાક્ષીમાં ખુશ્બુ સોહિલ મકવાણા છે. આમ હવે આ ફરિયાદ અરજી બાદ શું પગલા લેવામાં આવે છે તે જોવાનું રહ્યું..