Mysamachar.in-જામનગર:
જોડીયા વિસ્તારમાં ફરીથી રેતી ચોરીનો ખેલ શરૂ થઈ ગયો છે,ચૂંટણી દરમિયાન જ રેતી ચોરીને લઈને ભાજપ અને કોંગ્રેસને ગામમાં પ્રચાર કરવાની કુન્નડ ગામે ના પાડી દીધાનો કથીત બનાવ બન્યો હતો,ત્યારે ખાણ-ખનીજ વિભાગ દ્વારા બાદનપર ઊંડ નદીમાં રેતી ઉપાડવા માટે પરમીટ આપીને માથે રહીને રેતીની ખનીજ ચોરી કરાવતા હોવાના સનસનીખેજ આક્ષેપો સાથે કલેકટરને ફરિયાદ કરાઇ છે,
જામનગર ખાણ ખનીજ વિભાગે બાદનપર વિસ્તારમાં ખાનગી માલિકીની ખેતીની જમીનમાં ૫૦૦૦ ટન રેતીની પરમીટની મંજૂરી આપતા વિવાદ થયો છે,અને આ મામલે જોડીયા, બાદનપર,કુન્નડ વગેરે ગામના ખેડૂતોએ વિરોધ કરીને જામનગર ખાણ-ખનીજ વિભાગ દ્વારા જમીનનું ધોવાણ અટકાવવા માટે રેતીની પરમીટ આપવામાં આવી છે,
પરંતુ જમીનનો કોઈ હિસ્સો નદીમાં ધોવાણ થયેલ નથી અને પરમીટમાં જે વર્ક ઓર્ડરનો ઉપયોગ કરવામાં આવે છે તે જગ્યાએ રેતી મોકલવામાં આવતી નથી અને તેનો દુરુપયોગ કરીને રેતીનું બેફામ વેચાણ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરીને ખાણ-ખનીજ સામે મોટા પાયે વહિવટ કરીને આવી પરમીટો તમામ નિયમો નેવે મૂકીને આપવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ સાથે કલેકટરને રૂબરૂ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે,છતાં જોડીયામાં બાદનપર વિસ્તારમાં ફરીથી રેતી ચોરીનો સિલસિલો શરૂ થતા ભારે હોબાળો મચી ગયો છે.
ત્યારે આ મામલે Mysamachar.in દ્વારા જામનગરના ખાણ-ખનીજ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો.પરંતુ મોબાઈલ ફોન રિસીવ કરવામાં ન આવતા તેમની પ્રતિક્રિયા મળી શકી નથી.