Mysamachar.in-રાજકોટ:
આમ તો આજના દેખા-દેખીની સમયમાં સૌને અન્ય કરતા પોતાનો પ્રસંગ ચઢિયાતો કરવાનો અને લાખો રૂપિયા વેડફવાનો શોખ છે, પણ આવા તમામ થી પર પણ કેટલાક પરિવારો આજના આધુનીકયુગમાં છે, અને તેની પ્રતીતિ રાજકોટ શહેરમાં સેવાની અનોખી પહેલ જોવા મળી છે. રાજકોટમાં પોતાના પૌત્રની શ્રીફળ વિધી પ્રસંગે દાદા- દાદી દ્વારા એક પ્રેરણારૂપ કાર્ય હાથ ધરવામાં આવ્યું અને સૌ કોઈ બોલી ઉઠ્યા કે સલામ છે આ પરિવારને…. રાજકોટનાં જોગી પરિવારે પ્રેરણાદાયી પગલું ભર્યું છે. રાજકોટનાં યોગેશભાઇ જોગીનાં પુત્ર કેવલ જોગીની ગઈકાલે શ્રીફળ વિધી કરવામાં આવી હતી. પરંતુ યોગેશભાઇ જોગીનાં પિતા ચંદ્રકાંત જોગી અને માતા કાન્તાબેન જોગીની ઇચ્છા હતી કે તેનાં પૌત્રની શ્રીફળ વિધીમાં 300 દર્દીઓનાં મોતિયાનાં ઓપરેશન કરાવવામાં આવે.
જેનાં માટે રાજકોટનાં રણછોડદાસ આંખની હોસ્પિટલ ખાતે પ્રૌત્ર કેવલની સગાઇ સમયે જ 300 દર્દીઓનાં નિશુલ્ક ઓપરેશન કરીને નેત્રયજ્ઞ કરવામાં આવ્યો હતો. પ્રૌત્ર કેવલે કહ્યું હતું કે, દાદા-દાદીનું સ્વપ્ન હતું કે, તેમના પ્રૌત્રની સગાઇ સમયે લોકોનાં આંખનાં મોતિયાનાં ઓપરેશન કરાવવામાં આવે. જે પરિવારજનોએ પૂર્ણ કર્યું છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, લોકો લગ્ન, બર્થ ડે જેવા પ્રસંગોમાં ખર્ચો કરે છે તેનો 50 ટકા ખર્ચો આવા સામાજિક કાર્યોમાં કરે તો અનેક લોકોને મદદ મળશે, તો જરૂરીયાતમંદ દર્દીઓએ પણ જોગી પરિવારને આશિર્વાદ પાઠવ્યા હતા અને આવા કાર્યો કરતા રહે તેવી આશા વ્યક્ત કરી હતી.
જોગી પરિવાર હાલમાં ડિટર્જન્ટ પાવડર બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. સુખીસંપન્ન જોગી પરિવાર દ્વારા સામાજીક અભિગમ સાથે ગરીબ દર્દીઓને મદદમાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. યોગેશભાઈ જોગીનાં પુત્ર કેવલની સગાઈ આજે શિવાંગી સાથે થઇ હતી. પરિવારમાં ખુશીનો માહોલ છે ત્યારે આ ખુશીનો પ્રસંગ જરૂરિયાતમંદ લોકો સાથે ઉજવાય તેવી દાદા-દાદીની લાગણી અને ભાવના હતી.અને તે ભાવના ખરા અર્થમાં સફળ પણ બની છે.