Mysamachar.in-જામનગર:
રાજ્યના આ વર્ષે અપૂરતા વરસાદના કારણે પીવાના પાણી અને સિંચાઇના પાણી માટે સમસ્યા વિકટ બનતી જાય છે અને સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમો ખાલીખમ પડ્યા છે અને સરકાર દ્વારા પાણી માટે પૂરતું આયોજન હોય તેવા દાવાઑ કરવામાં આવી રહ્યા છે,તેવામાં જોડિયા તાલુકાના મજોઠ ગામ પાસે આવેલ ઉંડ-૨ ડેમ નીચાણવાળા વિસ્તારના ખેડૂતોને સિંચાઇના પાણી માટે કે પીવાના પાણી માટે કામ ન આવતા,આ ડેમ તોડી પાડવા સૂચન કરીને પાણીના નામે ચાલતા ભ્રષ્ટાચાર અંગે ગંભીર આક્ષેપો કરીને ગાંધીનગર સિંચાઇ વિભાગને સ્ફોટક રજૂઆત કરવામાં આવી છે,
જોડિયા તાલુકાના મજોઠ ગામ પાસે બનાવવામાં આવેલ ઉંડ ડેમ અંગે ગાંધીનગર સિંચાઇ વિભાગને જોડીયા, બાદનપર, કુન્નડ વગેરે ગામના ખેડૂતો અને ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું છે કે,આ ઉંડ-૨ ડેમનો ક્યારે નીચાણવાળા વિસ્તારોને લાભ મળ્યો નથી.જ્યારે સિંચાઇ માટે પાણી માંગવામાં આવે છે,ત્યારે જોડિયાને પીવા માટે અનામત રાખવામાં આવ્યું છે,તેવો તંત્ર દ્વારા જવાબ આપવામાં આવે છે,
પરંતુ છેલ્લા ચાર માસથી જોડીયાને પણ આ ડેમમાંથી પીવાનું પાણી મળ્યું નથી કે કેનાલ દ્વારા પણ આપવામાં આવ્યું નથી, તો આ ડેમમાંથી પાણી ક્યાં ગયું તેવા સવાલો સાથે ડેમમાં પાણીના નામે ભ્રષ્ટાચાર કરીને તંત્ર દ્વારા આંખ આડા કાન કરી સ્થાનિક આજુબાજુવાળા ખેડૂતોને પાણી ઉપાડવા દેવામાં આવતું હોવાથી આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેવો ગંભીર આક્ષેપ કરાયો છે,આથી આ ડેમ તોડી નાખવા સુધીની ખેડૂતો દ્વારા વાત કર્યા બાદ નુકશાન ન જાય તે માટે આ ડેમના દરવાજા બારેમાસ ખુલ્લા રાખીને નીચાણવાળા વિસ્તાર એવા જોડિયા, કુન્નડ, બાદનપર વગેરે ગામોને આ ડેમનો ભવિષ્યમાં લાભ આપવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે.