Mysamachar.in-જામનગરઃ
જામનગરમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ વખતે લાલપુરમાં 3.0ની તિવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભૂકંપ બાદ લોકોમાં કુતુહલતા ભયની લાગણી જોવા મળી છે. તો કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું એપી સેન્ટર લાલપુરથી 26 કિમી દૂર છે. આ આંચકાનો અનુભવ જોડિયા પંથકમાં પણ થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે જામનગર શહેર તથા આસપાસના ગ્રામીણ વિસ્તારો ભૂકંપ સિસ્મિક ઝોન-4માં આવે છે, જેના કારણે અહીં 3.3 સુધીના ભૂકંપના આંચકા આવતા રહે છે. ભૂકંપના આંચકા આવવાનું વધતા થોડા સમય પહેલા જ તંત્ર દ્વારા જાગૃતિનિર્માણ અર્થે લોકહિતમાં કેટલીક સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી, જેમાં સલામતી અને સાવચેતી માટે ભૂકંપ પહેલા અને પછી શું ધ્યાનમાં રાખવું તે જણાવવામાં આવ્યું હતું. સૂવાની જગ્યા પર ફોટો ફ્રેમ, દર્પણ કે કાચ ન લગાવવા, અઠવાડિયા પૂરતું આકસ્મિક જરૂર પુરતા ખોરાક, પાણી, દવાઓ વગેરે સામગ્રી તૈયાર રાખવી. તો નજીકના આરોગ્ય કેન્દ્ર, અગ્નિ શમન કેન્દ્ર, પોલીસ સ્ટેશન વગેરેની માહિતી હાથવગી રાખવી.