Mysamachar.in-રાજકોટ:
રાજ્યમાં કેટલીક શાતીર મહિલાઓ મીઠી-મીઠી વાતો કરી અને પોતાની માયાજાળમાં કેટલાય લોકોને ફસાવી લે છે, અને બાદમાં આવી મહિલાઓની સાગરિત ટોળકીઓ દ્વારા બેલ્ક્મેલીંગ કરીને નાણા પડાવવાનું કારસ્તાન શરુ થાય છે, અને આ ચક્રમાં ફસાઈ ગયાનો અહેસાસ થાય અને કોઈ રસ્તો ના રહે ત્યારે ભોગબનનાર લોકો મોતને વહાલું કરી લેતા હોય છે, આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે, જ્યાં મૈત્રીકરાર કરી પાંસઠ વર્ષીય વૃદ્ધને બરોબરના ફસાવી તેની પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેતા ભોગબનનાર વૃદ્ધે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે,
વાત એવી છે કે જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામના વતની ધનજીભાઈ કાસીયાણી નામના ૬૫ વર્ષીય વૃદ્ધ થોડાસમય પૂર્વે રાજકોટમાં રહેતી જાગૃતિ ઉર્ફે જાગુ નામની ત્યક્તા સાથે મૈત્રી કરાર કરેલા હતા. ધનજીભાઈ મંદિર બનાવવાનું બિલ્ડર તરીકે કામ કરતાં ધનજીભાઇ રામજીભાઇ કાસિયાણી (ઉ.વ.65) ધનજીભાઈ શુક્રવારે બપોરે પોતાના ગામથી રાજકોટમાં બીજા રિંગ રોડ પર રત્નમ રેસિડેન્સિમાં રહેતી તેની સ્ત્રી મિત્ર જીજ્ઞાશા (જાગુ) વસિયાણીના ઘરે જવા નીકળ્યા હતા. આરોપી જીજ્ઞાશાએ બે વર્ષ પૂર્વે ધનજીભાઇ સાથે મૈત્રી કરાર કર્યા હતા, અને મૈત્રી કરાર બાદ જીજ્ઞાશા અને તેના બે સાગરીત બાબુ આહીર અને હરીએ મળી ધનજીભાઇને ફોટા અને વીડિયો જાહેર કરવાની ધમકી આપી રોકડ અને દાગીના પડાવવાનું શરૂ કર્યું હતું,
અત્યાર સુધીમાં 28 લાખ જેટલી રકમ પડાવી હતી. જીજ્ઞાશાના ઘરમાં જતા પહેલા ધનજીભાઇએ જાઇવા સ્કૂલના પ્રિન્સિપાલ અને તેના કાકા શાંતિલાલ કાશિયાણીને ફોન કરી જીજ્ઞાશા અને તેના બંને મળતિયાઓ બ્લેકમેઇલ કરતા હોવાની વાત કરી હતી અને પોતે જીજ્ઞાશાના ઘરમાં જઇ રહ્યાની જાણ કરી હતી, થોડીવાર બાદ ધનજીભાઇએ ફરીથી તેમના કાકાને ફોન કર્યો હતો અને જીજ્ઞાશા સહિતનાઓએ ઝેરી દવા પીવડાવી દીધાનું કહ્યું હતું.
જે બાદ બપોરે જાગુએ 108ને ફોન કરી તેના ઘરે ધનજીભાઇ કાશિયાણીએ દવા પી લીધાનું કહેતા 108 દોડી ગઇ હતી અને વૃદ્ધને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત નીપજ્યું હતું. જાગુએ જાણ કરતાં ધનજીભાઇના પુત્ર બાલકૃષ્ણભાઇ સહિતના પરિવારજનો હોસ્પિટલે દોડી ગયા હતા. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ ઠાકર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.
ધનજીભાઇને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધાનો કાશિયાણી પરિવારે આક્ષેપ કર્યો હતો, જોકે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં બ્લેકમેઇલિંગ કરતી ગેંગે વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કર્યાનું ખુલતાં પોલીસે જીજ્ઞાશા, બાબુ અને હરિયા સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી જીજ્ઞાશાને સકંજામાં લીધી હતી, પોલીસે અન્ય બેની શોધખોળ શરુ કરી છે,પણ રાજકોટમાં સામે આવેલો આ કિસ્સો મૈત્રીકરાર અને સ્ત્રીઓની મોહજાળમાં ફસાઈ જતા પુરુષો માટે ચેતવણીરૂપ પણ છે