Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
વારંવાર અખબારો અને ટીવીમાં સરકાર દ્વારા જુદી-જુદી ભારતીઓ માટે ની જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવતી હોય છે, અને રોજગાર મેળાઓ થકી પણ યુવાઓને રોજગારી આપવાના આયોજનો થતા રહેતા હોય છે, પણ રાજ્યના બજેટ સત્રમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યએ કરેલા પ્રશ્નમાં રાજ્યમાં પ્રવર્તી રહેલી બેરોજગારી અંગે ખુલાસો થયો છે. રાજ્ય સરકારે કેટલા બેરોજગારોને સરકારી નોકરી મળી તે અંગે જવાબ આપતા જણાવ્યું કે, રાજ્યમાં કુલ 4 લાખ 58 હજાર 96 બેરોજગારો નોંધાયેલા છે. જે પૈકી છેલ્લા બે વર્ષમાં 2,223ને સરકારી નોકરી મળી છે. તેની સામે 7 લાખ 32 હજાર 139 બેરોજગારોને ખાનગી નોકરી મળી છે. આમ છેલ્લા બે વર્ષમાં કુલ ખાનગી અને સરકારી મળીને 7 લાખ 34 હજાર 362ને નોકરી મળી છે. જેમાં 0.30 ટકા બેરોજગારોને સરકારી અને 99.69 ટકાને ખાનગી નોકરી મળી છે. તેમાં પણ આશ્ચર્યની વાત તો એ છે કે, રાજ્યના 14 જિલ્લામાંથી એકપણ બેરોજગારને સરકારી નોકરી મળી નથી.
રાજ્યની સાથે સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા એમ બન્ને જીલ્લાના પણ આંકડાઓ વિધાનસભામાં સામે આવ્યા છે, બન્ને જીલ્લામાં કેટલીય ખાનગી કંપનીઓ આવેલ છે, જે ધારે અને લાયકાત હોય તો સ્થાનિક શિક્ષિત બેરોજગારોને રોજગારીની તકો પૂરી પાડી શકે છે.પણ જે રીતે આંકડાઓ સામે આવ્યા છે તે પ્રમાણે જામનગર જીલ્લામાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા 14805 છે, જયારે અર્ધ શિક્ષિત બેરોજગારોની સંખ્યા 1914 છે, જેની સામે રોજગાર કચેરી દ્વારા સરકારી વિભાગોમાં શૂન્ય જયારે ખાનગી ક્ષેત્રમાં 18696 નોકરીઓ અપાવવામાં આવી છે, તો દેવભૂમિ દ્વારકા જીલ્લામાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા 4341 જયારે અર્ધ શિક્ષિત બેરોજગારોની સંખ્યા 221 છે, આ જીલ્લામાં રોજગાર કચેરી દ્વારા 29 ઉમેદવારોને સરકારી જયારે 3467ને ખાનગીક્ષેત્રમાં નોકરી આપવામાં આવી હોવાનો દાવો વિધાનસભામાં રજુ કરવામાં આવેલ જવાબમાં કરવામાં આવ્યો છે.