Mysamachar.in-જામનગર:
તાજેતરમાં રોગચાળા સંબંધે અંકુશાત્મક પગલાં અને તકેદારી તથા કાર્યવાહી સઘન બનાવવા માટે પદાધિકારીઓ અને અધિકારીઓની મીટીંગ યોજાઈ હતી, આ મીટીંગમાં મેયર હસમુખ જેઠવા, ડે.મેયર કરશન કરમૂર, ચેરમેન સ્ટે. કમિટી સુભાષ જોષી, શાસકપક્ષ નેતા દિવ્યેશ અકબરી, પણ ઉપસ્થિત રહ્યા હતા, આ મીટીંગમાં વરસાદના હિસાબે ખુલ્લી જગ્યામાં ભરાયેલા પાણીના ખાબોચીયામાં જંતુનાશક દવા, ઓઇલનો છંટકાવ કરવા, કોમર્શીયલ બિલ્ડીંગોના સેલરોમાં પાણી ભરાતા ગંદકી અંગે, એસ.એસ.આઇ દ્વારા વોર્ડની ફીલ્ડ કામગીરી સઘન બનાવવા, એસ.આઇ. અને ઝોનલ ઓફીસરોને ક્રોસ વેરીફીકેશન અને ચેકીંગ કરવા અંગે, પાઇપ ગટર અન્વયે ખુલ્લી ગટરોના કામદારોની કામગીરીની સમીક્ષા અંગે તાકીદ કરવામાં આવેલ.
જાહેર રોડ ઉપર કચરાના બીન્સમાં કચરો નાખવાને બદલે રોડ ઉપર કચરો પડ્યો હોય તે અંગે પગલાં લેવા સૂચના આપવામાં આવેલ, મેઇન રોડના કામદારોએ રોડ ઉપર બેઠેલા ઢોર હટાવવા જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને અડચણરૂપ ન થાય, લીલો ઘાસચારો વેચતા આસામીઓનો ઘાસચારો જપ્ત કરવો અને આવા આસામીઓ સામે ફોજદારી ફરિયાદો કરવી.,વોર્ડવાઇઝ જંતુનાશક દવા છંટકાવ, ડી.ડી.ટી. છંટકાવ અંગે જે તે વિસ્તારમાં માણસો મોકલતા પહેલા લાગત વોર્ડના એસ.એસ.આઈ મારફત કોર્પોરેટરોને અગાઉથી જાણ કરવા સૂચના આપવામાં આવેલ.
ખાદ્ય પ્રદાર્થના ચેકીંગ અંગે ફરસાણમાં વપરાતા તેલના વારંવાર ઉપયોગ અંગે સરકારના પરિપત્ર મુજબ અમલવારી કરવા, રેસ્ટોરન્ટો અને હોટલોમાં તેમજ રેકડીઓમાં વેચાણ થતાં ખાદ્ય પદાર્થોના ચેકીંગ અંગે સૂચન આપવામાં આવેલ અને જાહેર રોડ ઉપર રેકડીઓમાં વેચાતા ખાદ્યપદાર્થો અંગે જે તે ધંધાર્થીઓ દ્વારા રોડ ઉપર ફેલાવવામાં આવી ગંદકી અંગે તથા ગેરકાયદે રેકડીઓ રાખવા અંગે જપ્તી સુધીના પગલાં લેવા પણ સૂચનાઓ કરવામાં આવી પણ હવે અમલ કેટલો અને કેવો થશે જોવું રહ્યું..
-રોજનો ટનબંધ કચરો ઉપડતો નથી, ગટરો સાફ થતી નથી, જાહેર માર્ગો પણ ગંદકી થી ખદબદે…
ના માત્ર પદાધિકારીઓએ મીટીંગ કરીને સંતોષ માનવો જોઈએ ઉલટું જાત તપાસ પણ એટલી જ જરૂરી છે, બીજું કે રોજનો ટન બંધ કચરો ઉપડતો જ નથી અને જે-તે વિસ્તારોમાં પડ્યો રહે છે, તેના માટે કોણ જવાબદાર..? ગટરો સાફ થતી નથી જેને કારણે જીવાતોનો ઉપદ્રવ વરસાદ બાદ વધવા લાગ્યો છે, કોન્ગો જેવા જીવલેણ રોગના બે કેસો શહેર મા સામે આવ્યા છતાં શહેરમા પશુ નિયંત્રણ માટે કોઈ કામગીરી થઇ છે કે થશે..? આવા તો અનેક મુદ્દાઓ છે જેના પર જાગૃત નાગરિકો સીધો સવાલ ઉઠાવી શકે છે.