Mysamachar.in-ગાંધીનગરઃ
ગુજરાત સહિત દેશભરમાં રોજગારનો મુદ્દો ભારે ચર્ચાઇ રહ્યો છે, રાજ્યના યુવાનો નોકરીની લાલચમાં વર્ષોથી મહેનત કરી રહ્યાં છે, જો કે તેમની મહેનત ત્યારે રંગ લાવશે જ્યારે સરકારી વિભાગ દ્વારા ભરતી બહાર પાડવામાં આવે. સરકાર દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે અમે રોજગારી પૂરી પાડીશું પરંતુ વરવી વાસ્તવિક્તા તો એવી છે કે સરકારી વિભાગોમાં જગ્યા ખાલી છે તેમ છતા તેમાં ભરતી કરવામાં આવી નથી રહી, આવો જ એક વિભાગ છે પોલીસ વિભાગ, એક RTIમાં બહાર આવેલી માહિતી પ્રમાણે રાજ્યના ગૃહ વિભાગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેથી નીચેના પદ માટે 25 ટકાથી વધુ જગ્યા ખાલી છે. ગૃહવિભાગ દ્વારા 85,049 કર્મચારીઓનું મહેકમ મંજૂર કર્યુ છે. પરંતુ, તેમાંથી 22,103 જગ્યાઓ ખાલી હોવાનો ખુલાસો થયો છે.
ભરતી પ્રક્રિયામાં સૌથી મોટો સવાલ પેપરલીકનો આવે, છેલ્લા કેટલાક સમયથી તટસ્થ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે એ જગજાહેર છે. અવાર નવાર પેપરલીક કૌભાંડને કારણે ભરતી પ્રક્રિયા પર સવાલો ઉઠી રહ્યાં છે. માત્ર ગૃહ વિભાગની જ વાત કરીએ તો મહિલા અનામત ઠરાવ અને પેપરલીકને કારણે નવ હજારથી વધુ લોક રક્ષક દળની ભરતી પહેલાથી જ લટકી પડી છે. રાજ્યમાં પોલીસ વિભાગમાં રાજ્યમાં 22 હજાર 103 જગ્યાઓ ખાલી છે. જેમાં બિન હથિયારી પોલીસમાં 1163 જગ્યાઓ ખાલી છે. જ્યારે ASIમાં 1256 જગ્યાઓ પર ભરતી કરાઇ નથી. હેડ કોન્સ્ટેબલની 2329 જેટલી જગ્યાઓ અને પોલીસ કોન્સ્ટેબલની 17 હજાર 355 જગ્યાઓ ખાલી છે. અરજદાર દ્વારા RTIમાં માહિતી માગવામાં આવતા સમગ્ર ખુલાસો થયો છે. યોગ્ય સમયે ભરતી ન થવાની સીધી અસર રાજ્યના ક્રાઇમ રેટ પર થાય એ સ્વાભાવિક છે. પોલીસ અધિકારીને એક કરતાં વધુ કામગીરી સોંપવામાં આવવાથી સ્વાભાવિક છે કે તપાસમાં વિલંબ થઇ શકે છે.