Mysamachar.in-જામનગરઃ
આમ તો વૃદ્ધાશ્રમો બને તેવા સંજોગો જ ના બનવા જોઈએ પણ છતાં પણ આજના સમયમાં પરિવારમાં સાનુકુળતા નો અભાવ, વધતા જતા મનમોટાવ, અને અમુક લોકો જેને પરિવાર જ નથી તેવા લોકો માટે વૃદ્ધાશ્રમની જરૂર રહેતી હોય છે, માટે જ સમાજના શ્રેષ્ઠીઓએ આવા વડીલો સ્વમાનભેર પોતાની જિંદગીની ઢળતી સંધ્યાને જીવી શકે તે માટે જામનગરમાં એક વૃદ્ધાશ્રમની કાયાપલટ કરીને જે કદાચ ફાઈવસ્ટાર હોટેલ ને પણ ટક્કર મારે તેવું છે, જામનગરમાં એમ.પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમ છેલ્લા 51 વર્ષથી કાર્યરત છે, જો કે વર્ષોથી વડીલો માટે વિસામારૂપ આ વૃદ્ધાશ્રમની ઇમારત જર્જરીત થઇ જતાં નવી ઇમારતનું બાંધકામ હાથ ધરાયું હતું જે હાલ પૂર્ણ થયું છે. નિવાસી વૃદ્ધોને જરૂરી સુવિધા મળી રહે તથા વધુ વડીલોનો સમાવેશ થઇ શકે તેવી નવી ઈમારતનું બાંધકામ કરવાની કાર્યવાહી નવી ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ તે પૂર્ણ થઇ જતા આ અંગેની માહિતી આપવા ગતરાત્રીના સંસ્થાના ભરતભાઈ મોદી, કિરીટભાઈ મહેતા, ડો.રૂપેનભાઈ દોઢીયા, શરદભાઈ શેઠ, કેતનભાઈ બદીયાણી, અશોકભાઈ શાહ, વગેરે પત્રકાર પરિષદ સંબોધી અને માહિતી આપતા જણાવ્યું હતું કે..
નવી ઈમારતનું કાર્ય શરૂ કરતા પહેલા વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીઓએ ગુજરાતના વિવિધ શહેરોના ઘણા વૃદ્ધાશ્રમોની મુલાકાત લઇ, તેમના અનુભવો જાણી જરૂરી તમામ સુવિધાઓ સાથેની નવી ઈમારત તૈયાર કરવાનું આયોજન હાથ ધાર્યું અને તા. ૨૩.૪.૨૦૧૭ ના રોજ દાતાશ્રીઓના હસ્તે શિલાન્યાસ કરી નવનિર્માણ કાર્યનો શુભ-આરંભ કરવામાં આવ્યો હતો. આ કામગીરી હાલ પૂર્ણ થતા વડીલોના વીસામા સ્વરૂપ શ્રી એમ. પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમની લોકાર્પણ વિધિ તા ૧૦-૧-૨૦૨૦, શુક્રવારના રોજ સવારે ૯.૩૦ વાગ્યે યોજવામાં આવી છે.
આયોજન અનુસાર ૫૨૦૦૦ ચો. ફૂટની, ગ્રાઉન્ડ-ફર્સ્ટ અને સેકંડ ફ્લોરની ઈમારતમાં ૫૨ રૂમ બનાવવામાં આવી છે. જેમાં સિંગલ બેડના-૧૨ રૂમ, ડબલ બેડના ૩૧ રૂમ તથા ટ્રીપલ બેડના ૯-રૂમ કે જેમાં ૧૦૧ વૃદ્ધોનો સમાવેશ થશે અને જરૂર પડ્યે ૧૩૦ વૃદ્ધોનો સમાવેશ કરી શકાય તેવું આયોજન કરવામાં આવેલ છે. આધુનિક સાધન સગવડ સાથેના રસોડાનું અને ભોજનશાળાનું આયોજન કરવામાં આવેલ છે. નિવાસી વૃદ્ધો ચાર દીવાલ વચ્ચે બંધિયારપણું ન અનુભવે તે હેતુથી, વૃદ્ધાશ્રમની ફરતે વોકિંગ ટ્રેક તથા સુંદર બગીચો બનાવી મુક્ત વાતાવરણ પૂરું પાડવાનું આયોજન કરવામાં આવેલ છે,
વૃદ્ધ લોકોના માનસિક સ્વાથ્યને લક્ષ્યમાં રાખીને વિવિધ પ્રવૃતિઓ થઇ શકે અને નિવાસી વૃદ્ધોને આ વૃદ્ધાશ્રમ નહિ પરંતુ પોતાનું ઘર જ હોય તેવું વાતાવરણ લાગે તે હેતુથી આધ્યાત્મિક પ્રવૃત્તિ અર્થે પ્રાર્થના ખંડ; શારીરિક તંદુરસ્તી માટે જીમ અને ફીઝીયોથેરાપી સેન્ટર, સાંસ્કૃતિક પ્રવૃત્તીઓ માટે સ્ટેજ સાથેનું ઓપન-એર થીયેટર અને મલ્ટીપર્પઝ હોલ; વાંચન માટે લાયબ્રેરી અને આજના જમાના સાથે તાલ મેળવી શકે તે માટે વાઇ-ફાઇ સાથેના કોમ્યુટર રૂમનું પણ આયોજન કરવામાં આવેલ છે.
વૃદ્ધાવસ્થામાં નાની-મોટી શારીરિક તકલીફો થવી સહજ છે અને વારંવાર સારવાર માટે દોડાદોડી ન કરવી પડે તે હેતુથી વૃદ્ધાશ્રમની અંદર જ ક્વોલીફાઈડ સ્ટાફ સાથેના, ઇન્ડોર-બેડની સગવડ વાળા મેડીકલ સેન્ટરનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.ઉપરાંત ગંભીર બીમારીના કિસ્સામાં જરૂર પડ્યું અન્ય હોસ્પીટલમાં સંપૂર્ણ સારવાર કરવામાં આવે છે.વૃદ્ધાશ્રમના આયોજનમાં ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે ક્લોરનાં લેવલ તથા તમામ દરવાજાની પહોળાઈ એ રીતે રાખેલ છે કે નિવાસી વદ્ધ શારીરિક રીતે અશક્ત હોય તો પણ પોતાની તમામ દૈનિક ક્રિયાઓ કોઈના પણ અવલંબન વગર કરી શકે અને જાતે વ્હીલ ચેર ચલાવીને દરેક જગ્યા એ પહોચી શકે.
આજના સમયમાં કોઈ પણ બિલ્ડીંગમાં લીફ્ટ હોવી એ સહજ વાત છે તે અનુસાર વૃદ્ધાશ્રમમાં પણ સાદી લીફ્ટ અને ્ટ્રેચર રલીક્ટ તો છે જ. પરંતુ અનોખી વાત એ છે કે અશક્ત વૃદ્ધ વ્હીલ-ચેરથી દરેક માળે હરી ફરી શકે તે માટે વિશાળરેમ્પનું પણ આયોજન કરેલ છે ! કોઈ પણ વૃદ્ધ એકલતા ન અનુભવે અને સહચર્યની હુફ માણી શકે તે હેતુથી દરેક માળે ટીવી સાથેની લોન્જ રાખેલ છે જ્યાં નિવાસી વૃદ્ધો સાથે બેસી આનંદ પૂર્વક પોતાનો સમય પસાર કરી શકે. વડીલોના વીસમાની નવ-નિર્મિત ઈમારતમાં વીજળીનો બચાવ થાય તે માટે સોલાર એનર્જીનો મહત્તમ ઉપયોગ થાય તેવું આયોજન કરેલ છે. તદુપરાંત પર્યાવરણની જાણવણી અર્થે વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ થાય તેવી વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ નો ઉપયોગ કરેલ છે. વૃદ્ધોની સલામતી માટે ભૂકંપ પ્રતિરોધક બાંધકામ કરવામાં આવેલ છે તથા ફાયર સેફટીની માર્ગદર્શિકા પ્રમાણે પુરતું આયોજન કરવામાં આવેલ છે.
વૃદ્ધાવસ્થામાં સહુથી મોટો પ્રશ્ન પ્રવૃત્તિના અભાવે ઉદભવતી માનસિક શૂન્યતા હોય છે. અહી, જે વૃદ્ધો શારીરિક રીતે સક્ષમ હોય તેમની આવડત કે હુન્નરનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને જરૂરી તમામ સહાય પણ પૂરી પાડવામાં આવે છે. વૃદ્ધોની એકલતાના નિવારણ અર્થે અલગ અલગ સંસ્થાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સાથે મેળાવડા તથા સંસ્કૃતિક કાર્યક્રમોનું સારી રીતે આયોજન કરી શકાય તે માટે સ્ટેજ અને કોમ્યુનીટી હોલ પણ બનાવવામાં આવેલ છે. આ વૃદ્ધાશ્રમની વિશિષ્ટતા એ છે કે અહી નિવાસી વૃદ્ધો પાસે કોઈ પ્રકારનો ચાર્જ વસુલવામાં આવતો નથી. એટલજ નહિ પરંતુ ખિસ્સા ખચી માટે રૂ. ૩૦૦/- પ્રતિ માસ આપવામાં આવે છે, શ્રી એમ. પી. શાહ પરિવારે ૧,૬૧ કરોડ અનુદાન આપવાની પહેલ કરી હતી, જેનાથી પ્રેરાઈને દેશ-વિદેશના અનેક દાતાઓએ બહુમુલ્ય આર્થિક સહયોગ આપ્યો જેથી આ ભગીરથ કાર્ય પૂર્ણ થયું છે, વડીલોના વીસામા સ્વરૂપ શ્રી એમ. પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમની લોકાર્પણ વિધિ તા ૧૦-૧-૨૦૨૦, શુક્રવાર ના રોજ સવારે ૯.૩૦ વાગ્યે યોજવામાં આવેલ છે.આ પ્રસંગે મંત્રીઓ થી માંડીને કેટલાય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.