Mysamachar.in-રાજકોટ:
અભ્યાસના ટેન્શનમાં વિદ્યાર્થીઓ અંતિમ પગલું ભરી લેતા હોય છે, પણ કોઈ પરીક્ષા જિદંગીની છેલ્લી પરીક્ષા નથી તે પણ વિદ્યાર્થીઓએ મગજમાં બેસાડવાની જરૂર હોય તેમ લાગે છે, એવામાં વધુ એક વિધાર્થીનીએ આવા જ કોઈ કારણસર આપઘાત કર્યાનું સામે આવી રહ્યું છે, જામનગરની વતની અને રાજકોટના મોરબી રોડ પર બેડી હડમતીયામાં આવેલી સંજયરાજ રાજ્યગુરૂ કોલેજમાં એન્જિનિયરીંગના છેલ્લા વર્ષમાં ભણતી અને કોલેજ કેમ્પસમાં જ આવેલી છાત્રાલયમાં રહેતી રીટા કિશોરભાઇ ગોહેલે સાંજે છાત્રાલયમાં પંખામાં દૂપટ્ટો બાંધી જિંદગી ટૂંકાવી લીધી હતી. અંતિમ વર્ષમાં એટીકેટી આવી હોવાથી કેટલાક દિવસથી તે ચિંતામાં રહેતી હતી. આ કારણે અંતિમ પગલુ ભર્યાનું હાલ બહાર આવ્યું છે. આપઘાત પાછળ અન્ય કોઇ કારણ તો નથી ને? તેની તપાસ પોલીસે હાથ ધરી છે.
પોલીસની તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર રીટા બે બહેન અને એક ભાઇમાં વચેટ હતી. પિતા દરજી કામ કરે છે. રીટા છેલ્લા બે વર્ષથી કોલેજના છાત્રાલયમાં જ રહેતી અને અભ્યાસ કરતી હતી. એન્જિનિયરીંગના છેલ્લા વર્ષમાં એટીકેટી આવી હોય તેની ચિંતામાં આ પગલું ભર્યાનું હાલ બહાર આવ્યું છે. વિદ્યાર્થિનીના આપઘાત પાછળ ખરેખર આવું જ કારણ છે કે અન્ય કંઇ? તેની તપાસ હાલ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.