Mysamachar.in-જામનગર:
તાજેતરમાં શહેરમા એક ગૌ વંશ મૃતદેહ ઢસડી લઇ જવાનો મામલો રફેદફે કરી દેવામાં આવ્યો હોય તેમ લાગે છે, તેમજ ઢોરવાડામા અબોલ પશુ ની હાલત ખરાબ છે તેવો જીવદયા પ્રેમીઓ આક્ષેપ કરે છે, પણ કોઈ નક્કર કાર્યવાહી કે લડત આપતા નથી, વારંવાર એક કોંગી કોર્પોરેટર પણ પોતાની સ્વપ્રસિદ્ધિ માટે ઢોરના ડબ્બા ખાતે દોડી જાય છે, પણ ખરેખર તેનું પરિણામ શુ..? જામનગરમાં તાજેતરમાં જ શહેરના વોર્ડ નં. 9 માં આવતા વજુ કંદોઇના ડેલા પાસે એક ગાય કોઇપણ કારણોસર મૃત્યુ પામી હતી. ત્યારે તે અંગેની જાણ જામ્યુકોમાં કરવામાં આવતા એક ટ્રેકટર અને બે માણસો ગાયના મૃતદેહને ઉપાડવા આવ્યા હતાં. પરંતુ નવાઇની વાત એ છે કે, ગાયના મૃતદેહને ટ્રેકટરમાં રાખીને નિકાલ સ્થળે લઇ જવાનો હોય છે પરંતુ આવેલ ટ્રેક્ટર અને બે માણસો દ્વારા ગાયના ગળામાં દોરડું બાધી મૃતદેહને ઢસડીને લઇ જવામાં આવતા આ દૃશ્યોથી રહેવાસીઓમાં ભારે ફીટકારની લાગણી જન્મી હતી અને આ ઘટનાને શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની જવા પામી હતી.
આમ જામ્યુકોના જવાબદાર અધિકારીઓએ આ મામલે તપાસ કરી સ્પષ્ટતા કરવી જોઇએ અને આવી ઘટના બીજી વખત ન બને તેની તકેદારી રાખવા જે-તે વિભાગને તાકીદ કરવી જોઇએ તેમ લોકોમાં માંગ ઉઠવા પામી હતી, પરંતુ તે બાબત રફે દફે થઇ ગઇ છે બીજી તરફ ઢોરવાડામા મૃત્યુ પામતા પશુઓના નિકાલ બાબતે પણ તેના કોઇ વાર વેંચાણ થયા હોય તેવા સ્ફોટક આક્ષેપ થયા છે જોકે આ અંગે જાણકારો ખરાઇ કરી રહ્યા છે, ઉપરાંત ઢોર ડબ્બામા પુરતા ખોરાક મોકળાશ હવા પાણી સારવાર વગેરે બાબતે પણ પુરતી વ્યવસ્થા નથી તે બાબતે અને અમુક મુંગા પશુ રિબાઇને મૃત્યુ પામે છે પણ કહેવાતી જીવદયા પ્રેમીઓની સરકારના સતાવાળાઓ ને કંપારી છુટતી નથી.