Mysamachar.in-જામનગરઃ
વરસાદે નવરાત્રીની મજા બગાડ્યા બાદ હવે દિવાળી બગાડશે તેમ લાગી રહ્યું છે. આ વખતે ટાઇમ ટેબલથી બહાર ચાલી રહેલા મેઘરાજા વિદાઇ લેવાનું નામ જ લેતા નથી. ફરી એકવાર હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ વરસાદની આગાહી કરતાં ખેડૂતો અને વેપારીઓમાં ચિંતા ફરી વળી છે. હવામાન વિભાગનું કહેવું છે કે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે, જેના કારણે રાજ્યમાં આગામી 24 ઓક્ટોબર સુધી છૂટોછવાયો વરસાદ પડશે. ખાસ કરીને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં દક્ષિણ અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો બંધાવાના શરૂ થઇ ગયા છે, તો કેટલાક સ્થળે ધીમી ધારે વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે.
જો કે હવામાન અંગે પળેપળની માહિતી આપતી વિન્ડી વેબસાઇટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દિવાળીના દિવસે એટલે કે રવિવારે 26 તારીખે ગુજરાતમાં ક્યાંય વરસાદ પડશે નહીં, સિવાય કે દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળો પર હળવા ઝાપટા પડી શકે છે.અરબી સમુદ્રમાં બંધાયેલી વરસાદી સિસ્ટમને કારણે 23-24 ઓક્ટોબરે ગુજરાતમાં દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડવાની શક્યતાઓ વધુ છે. તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન પણ ફૂંકાશે જેના કારણે ચોમાસાનો પણ અનુભવ થશે. મંગળવારે વહેલી સવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, અહીં ગાજવીજ અને વરસાદી ઝાપટા શરૂ થયા છે. તો બીજી બાજુ જામનગરમાં વહેલી સવારથી જ ઠંડીનો અનુભવ શરૂ થઇ ગયો છે. એવામાં જો વરસાદી માહોલ સર્જાશે તો બે ઋતુનો અનુભવ થશે, જેના લીધી જામનગરમાં ફેલાયેલો રોગચાળો વધુ વકરે તો નવાઇ નહીં.