Mysamachar.in-ગાંધીનગરઃ
વિવિધ રેસ્ટોરન્ટ અને કેન્ટીનનાં ભોજનમાં જીવડાં નીકળવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. પણ આ વખતે ગુજરાત વિધાનસભાની કેન્ટીનમાં દાળમાંથી જીવડું નીકળતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સરકારી બાબુઓ અને રાજકીય નેતાઓને ભોજન પિરસતી ગુજરાત વિધાનસભાની કેન્ટીનનું ભોજન પણ શુદ્ધ રહ્યું નથી. કેન્ટીનના કોન્ટ્રાક્ટરના મેનેજરે જીવડું નીકળ્યાનો સ્વીકાર પણ કર્યો છે. ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. તેવામાં બપોરેના સમયે વિધાનસભાની કેન્ટીનમાં ભોજન પીરસાઈ રહ્યું હતું. ત્યારે કેન્ટીનના ભોજનમાં દાળમાંથી જીવડું નીકળતા ખળભળાટ મચી ગયો હતો. આ કેન્ટીનમાં મોટા પાયે સરકારી કર્મચારીઓ તેમજ નેતાઓ ભોજન લેવા આવતા હોય છે. ત્યારે વિધાનસભાની કેન્ટીનમાંથી જ જીવડું નીકળતા રાજ્યમાં ખાદ્ય સુરક્ષાના કાયદાના લીરેલીરા ઉડ્યા છે. કેન્ટીનની દાળમાંથી જીવડું નીકળ્યાનો સ્વીકાર મેનેજરે પણ કર્યો હતો. જો કે, મેનેજરે બચાવ કરતા જણાવ્યું હતું કે ‘આ દાળમાં જીવડું કદાચ ટેબલ પરથી ચઢીને દાળમાં જતો રહ્યો હતો એવું લાગી રહ્યું છે. અમે ખાદ્ય સુરક્ષાની તમામ ચોક્સાઈ જાળવીએ છીએ.