mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ ચાલી રહેલા કામોમાં મોટાપાયે ગેરરીતિઓ થઇ હોવાનો આક્ષેપ જામનગરના આરટીઆઈ એક્ટીવીસ્ટ કિશોર નથવાણી દ્વારા કરવામાં આવ્યો હતો,વધુમાં નથવાણી એ તત્કાલીન અધિક સચિવ અનિલ પટેલ સાથે જયારે આ મામલે ટેલીફોનીક વાતચીત કરી ત્યારે તેને પણ આ મામલામાં તથ્ય હોવાનો સુર પૂરાવવો ભારે પડ્યો હોય તેમ સરકારે સીધું જ તેના પર આ ઓડિયોક્લીપ ને હથિયાર બનાવીને અનિલ પટેલ ને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કરતાં સચિવાલયમા ભારે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે,
આ મામલે વિજય રૂપાણીએ એક નિર્ણય લઇને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના તત્કાલિન સચિવ અનિલ પટેલે રાજ્યના યાત્રાધામો પાવાગઢ, રામેશ્વર, બહુચરાજી અને શબરીધામ તથા દ્વારકાના પ્રોજેકટમાં ગેરરીતિ કૌભાંડ થયું હોવા અંગે એક ખાનગી વ્યકિત સાથે ટેલિફોનિક વાતચીતમાં કરેલા આક્ષેપોની ટ્રાન્સસ્ક્રીપ્ટ અને તે સંદર્ભે તે વ્યકિત દ્વારા ACBને કરવામાં આવેલી સીધી અરજીની વિગતો ધ્યાને લેતાં આક્ષેપોની ફરિયાદનો સંદર્ભ તકેદારી આયુકત વિજીલન્સ કમિશનરને કરીને તલસ્પર્શી તપાસ રાજ્યના વિજીલન્સ કમિશનરને સોંપવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ વિજીલન્સ કમિશનરને આ બાબતનો પ્રાથમિક તપાસ અહેવાલ સત્વરે રજૂ કરવાની સૂચના આપતાં એમ પણ સૂચવ્યું છે કે આ સમગ્ર આક્ષેપોમાં જો સત્યતા જણાય અને ગેરરીતિ થયાનું જણાય તો ત્વરાએ સંબંધિત કસૂરવારો સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે.
સીએમ કાર્યાલય દ્વારા પ્રસિદ્ધ થયેલ અખબારી યાદીમાં ટાંકવામાં આવ્યું છે કે અનિલ પટેલે સરકારી અધિકારીને ન છાજે તેવું વર્તન કરીને ગુજરાત રાજય સેવા વર્તણૂંક નિયમો ૧૯૭૧ના નિયમ-૯ ‘સરકારની ટીકા’ના નિયમ અન્વયે ‘‘કેન્દ્ર અથવા રાજ્ય સરકારની કોઇપણ પ્રવર્તમાન કે તાજેતરની નીતિ અથવા પગલાંની પ્રતિકૂળ ટીકારૂપ નીવડનારી કોઇ હકીકત કે મંતવ્ય અંગે કોઇ નિવેદન કરી શકે નહિ’’ તેનો ભંગ કર્યો છે.
એટલું જ નહિ, માહિતી પૂરી પાડવાનો પોતાને અધિકાર ન હોય એવા કોઇ સરકારી કર્મચારીને અથવા બીજી કોઇ વ્યકિતને સીધી યા આડકતરી રીતે માહિતી પૂરી પાડી શકાશે નહિ તેવા નિયમ-૧૦ નો પણ ભંગ તેમણે કર્યો છે.
મુખ્યમંત્રીએ અનિલ પટેલની આ પ્રકારની ગંભીર ગેરવર્તણૂંક તેમજ ગંભીર ગેરશિસ્તને પગલે તેમને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી નીચે મૂકવાનો પણ નિર્ણય કર્યો છે.અનિલ પટેલને તેમની પ્રવર્તમાન અધિક સચિવ પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ ગાંધીનગરની જગ્યાએથી ફરજમોકૂફી દરમ્યાન સ્પીપા રાજકોટ ખાતે નિમણૂંકનું સ્થળ રાખવા અને તેમની હાજરીનું નિયમીત મોનિટરીંગ થાય તે માટે પણ પ્રબંધ કરવા પણ સૂચનાઓ જારી કરાઈ છે,