Mysamachar.in-જામનગર:
જામનગર શહેરનું આરોગ્યતંત્ર માંદગી રોકવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે,.. મચ્છરોના ઉપદ્રવની જગ્યાઓ ચેક કરવા ઉપરાંત દવાનો છંટકાવ કરવો દવાઓ ઉપલબ્ધ કરવી વગેરે બાબતો માત્રને માત્ર ગુલબાંગો થઈ રહી છે, પણ નક્કર કાર્યવાહીનો અભાવ હોવાના આક્ષેપ સાથે આજે જામનગર મનપાના વિપક્ષે રોગચાળાના સુત્રો સાથેના બેનરો પહેરી કમિશ્નરને જરૂરી કાર્યવાહી કરવા આવેદનપત્ર પાઠવ્યું હતું, છેલ્લા પાંચ દિવસની જ વાત કરવામાં આવે તો સરકારી આંકડા મુજબ ૩૫૦ થી વધુ કેસ તાવના, જી.જી.હોસ્પિટલમાં નોંધાયેલા છે, જેમાં બે દિવસમાં 90 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી 53 થી વધુ કેસ ડેન્ગ્યુના પોઝિટિવ આવ્યા છે, છતાં પણ તંત્ર કુંભકર્ણ નિદ્રામાં હોય આરોગ્યવિભાગની નિષ્ક્રિયતા પણ છતી થઇ રહી છે,
આ વર્ષ તો ડેન્ગ્યુંનો રોગચાળો સતત ને સતત વધી રહ્યો છે, મનપાને વિપક્ષને મન સવાલ છે કે જ્યારે આખા શહેરમાં ડેંગ્યુનો હાહાકાર હોય શહેરની પ્રજા માંદગીના બિછાને પડી હોય ત્યારે શહેરના આરોગ્ય તંત્રને કુંભકર્ણની નિંદ્રામાં કોણ જગાડશે? આજે તો માત્ર વિરોધ પક્ષના કોર્પોરેટરો દ્વારા આવેદન આપવામાં આવ્યું પરંતુ જો આવતા પાંચ દિવસમાં કમિશ્નર અને જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ડેન્ગ્યુને રોકવા માટેના કોઈ અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો જામનગર શહેરની જનતાને સાથે રાખીને જામનગર મહાનગરપાલિકાની તાળાબંધી કરવામાં આવશે તથા ડેન્ગ્યૂને લીધે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થશે તો તેની તમામ જવાબદારી ભાજપ સત્તાધીશોની અને જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓની રહેશે તેમ પણ આવેદનપત્રમાં ટાંકવામાં આવ્યું છે.