Mysamachar.in-જામનગર:
આપણે ત્યાં શિક્ષણ અને શિક્ષણ આપનાર સંસ્થાઓને ખુબ પવિત્ર માનવામાં આવે છે, પણ આજના સમયમાં શિક્ષણ શિક્ષા માટે નહિ પણ વ્યવસાય માટે શરુ થયા હોય તેમ રાજ્યની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓની સ્થિતિ જોતા લાગે…અરે… શિક્ષણના નામે ધંધાઓ ચાલે છે, તેમાં કેટલાય રાજકીયનેતાઓની શાળાઓ પણ પરદાપાછળની ભૂમિકામાં છે, શાળા શરુ કરવા માટેના કેટલાય નિયમો છે તેને શાળા ચલાવનારે અનુસરવાપડે છે, પણ કોણ જાણે જામનગરમાં તો આવા નિયમોની એક બે ને ત્રણ કરી નાખવામાં આવી છે, અને જામનગર શિક્ષણવિભાગ મૂંગો બનીને તમાશો નિહાળે છે, તે બાબતે કેટલી વાજબી કહી શકાય….
આવી જ એક શાળા માયસમાચારને ધ્યાને આવી છે, શહેરના રણજીતસાગર રોડ ઉપર આવેલી મોદી સ્કૂલને મંજૂરી મળી નથી..છતાં પણ સાંભળવા મળ્યા મુજબ શિક્ષણવિભાગને ખિસ્સામાં લઈને ફરતી આ શાળાએ છ-છ મહિનાથી ધમધમતી થઇ છે, આ શાળાને મંજૂરી ન મળી હોવા છતાં પણ ખુલ્લેઆમ શૈક્ષણિક કાર્ય ધમધમી રહ્યું છે અને જિલ્લા શિક્ષણાધિકારી માત્ર તપાસના નાટકો કરી રહ્યા છે.કારણ કે શિક્ષણવિભાગના સુત્રોમાંથી સાંભળવા એવું પણ મળે છે કે સંચાલકો શેખી મારતા હોય કે અમારી પહોચ ગાંધીનગર સુધી છે..
રણજીતસાગર રોડ પર પટેલપાર્ક નજીક જાણીતી મોદી શાળાએ થોડા સમય પૂર્વે મંજૂરી માટેની જરૂરી પ્રક્રિયાઓ કરી હતી, પણ નવા નિયમ મુજબ મેદાન ના હોવું સહિતની તમામ બાબતોને લઈને તેને નામંજૂર કરવામાં આવી છે, બાદમાં શાળા ગાંધીનગર શિક્ષણ નિયામક પાસે મંજુરી માટે ગઈ છે, ત્યાંથી પણ મંજુરી મળ્યાની જાણ જામનગર શિક્ષણાધિકારી ડોડીયા ને નથી, છતાં પણ શાળા સંચાલકો બે ધડકપણે છ મહિનાથી શૈક્ષણિક કાર્ય ચલાવી રહ્યા છે. મોદી શાળા હાલ ચારમાળની ઈમારતમાં ધમધમી રહી છે. જામનગરમાં ખાનગી શાળાઓ મનફાવે એ રીતે નીતિ નિયમોને નેવે મુકીને ચલાવતા હોવાનું અનેકવાર સામે આવી ચૂક્યું છે, શાળા ના મંજુર હોવા છતાં શિક્ષણ વિભાગ ચૂપ છે, અમારી ટીમે શાળા ખાતે જઈને પ્રિન્સિપાલને મળ્યા ત્યારે કેમેરા સામે કઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો એટલે કે મતલબ સ્પષ્ટ છે, જો ખરેખર મંજુરી મળી હોય તો કેમેરા સામે આવવામાં કેવો કચવાટ..
છ-છ મહિનાથી મંજૂરી વિનાની સ્કૂલ ધમધમી રહી છે, ત્યારે આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભાવી ડામાડોળ એટલે છે કે તેના નામો કઈ શાળામાં બોલતા હશે..? રાજકીય દબાણ આવે તો એક ક્લાસરૂમ ગેરકાયદે હોય તો બંધ કરાવવા નીકળી પડતી શિક્ષણાધિકારી કચેરીને આખા શાળા મંજૂરી વિના ચાલે છે તે કેમ નહિ સુજતુ હોય..?કે પછી ડીઈઓ ડોડીયાને શાળા બંધ કરવાના પગલાં લેતા ચૂંક આવે છે, કાલાવડ પંથકમાં તાજેતરમાં જ મંજુરી વિના ચાલતી ખાનગી શાળા બંધ કરાવવા જામનગરથી ડીઈઓ કચેરીનો સ્ટાફ તાબડતોબ પહોંચી ગયો હતો, તો અહી તો શહેરમાં નજર સમક્ષ ધમધમતી શાળા સામે પગલા ના લેવા શિક્ષણાધિકારી કચેરી સામે શંકા પ્રેરનારું છે.
મોદી સ્કૂલની મંજૂરી નથી મળી: ડીઈઓ ડોડીયા
જામનગર જીલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયાએ મોદી સ્કૂલ વિશે જણાવ્યું હતું કે મોદી સ્કૂલે અગાઉ મંજુરી માંગી હતી, અત્રેની ઓફિસેથીએ અરજી ના મંજુર કરી દીધી હતી, જાણવા મળ્યું છે કે મોદી સ્કૂલના સંચાલકો આ બાબતે ગાંધીનગર મંજૂરી મેળવવા ગયા છે, પણ ત્યાંથી મંજૂરી મળ્યાનું અમારી જાણમાં નથી. આજે મોદી સ્કુલના સંચાલકને બોલાવ્યા છે.પછી જોઈએ શું કરવું.