Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગર પાલિકાની T.P.O શાખા દ્વારા પ્રી-મોન્સુન એકટીવીટીના ભાગરૂપે ચોમાસામાં દુર્ઘટના નિવારવા જર્જરિત ઇમારતોનો સર્વે શરૂ કરવા સાથે ૫૧ આસામીઓને નોટીસ પણ આપવામાં આવી હતી,શહેરમાં સંખ્યાબંધ જુની ઇમારતોની અગાસીની પાળી, ગેલેરીઓ,દિવાલો,છતો જર્જરિત અવસ્થામાં હાલમાં પણ છે,જેને કારણે આગામી ચોમાસામાં કોઇ દુર્ઘટના સર્જાવાનું જોખમ સર્જાતા મ્યુ. તંત્રએ આગમચેતી રાખી થોડાસમય પૂર્વેથી જ આવી ઇમારતો કે તેના હિસ્સાઓનો સર્વે શરૂ કરાવ્યો છે.
૨૦૧૮માં તંત્ર પાસે ૧૩૦ જર્જરિત ઇમારતો કે જર્જરિત હિસ્સા ધરાવતી ઇમારતોનું લીસ્ટ હતું.જેમાંથી ૬૪ ઇમારતોમાં દુરસ્તીના પગલા ૨૦૧૮ દરમિયાન ભરાઇ ગયા બાદ બાકી વધેલી ૬૬ ઇમારતોની તાજેતરમાં ચકાસણી હાલ ચાલુ થઇ છે.જેમાંથી અમુક જ આસામીઓને નોટીસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
શહેરમાં આર્યસમાજ શાળા પાસે,ખંભાળિયા ગેઇટ સોની જ્ઞાતિની વાડી પાસે,લીંડી બજારમાં મણીયાર શેરીમાં,ટીંબા ફળીમાં,ધણશેરીની ખાડમાં,કિશાન ચોક વિસ્તારમાં,કે.વી.રોડ પર,પતંગીયાફળીમાં બે,ત્રણ દરવાજા,માંડવી ટાવર પાછળ,દિગ્વિજય પ્લોટ,ભોઇવાડા,નાગનાથ ગેઇટ,દરબારગઢ જેવા જુના વિસ્તારોમાં સંખ્યાબંધ ઇમારતો કે તેના ગેલેરી, પારાપેટ જેવા હિસ્સાઓ ભયજનક સ્થિતિમાં હોવાનું મ્યુ. કોર્પો.ના સર્વેમાં અગાઉ નોંધાયુ છે.
જેમાંથી કેટલીક ઇમારતોની દુરસ્તી થઇ છે.કયાંક બાકી પણ છે,જેનો સર્વે હાલ ચાલુ છે,કડિયાવાડ-ગ્રેઇન માર્કેટ રોડ પર સટ્ટાબજાર તરીકે ઓળખાતા વિસ્તારમાં વર્ષો જુની મનમોહન માર્કેટ તરીકે ઓળખાતી ટ્રસ્ટની સવારે રવેશ ધસી પડયાની ઘટના બાદ ઇમારતના વહિવટકર્તાઓએ ઇમારતમાં આવતા જતાં લોકો કે ઇમારત ફરતે વેપાર માટે ઉભતા લોકો માટે ઇમારત ભયજનક હોવાની ચેતવણી સ્વ-ખર્ચે દિવાલો પર લખાવી છે,છતાં આશ્ર્ચર્યજનક રીતે મ્યુ.તંત્રની ભયજનક ઇમારતોની યાદીમાં આ હાલ મહદ અંશે બંધ જેવી ઇમારત નથી.
જાહેર જાણ કરી તંત્ર ઉંઘી ગયુ…
ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, પોતાના રહેણાંક વિસ્તારની આસપાસ આવી કોઇ જોખમી ઇમારત જોવા મળે તો મ્યુ. કોર્પો.ની T.P.O શાખામાં આવીને જાણ કરવી.ઉપરાંત જે લોકોની ઇમારત કે તેના હિસ્સા ભયજનક હોય તો તેને સલામત સ્તરે લાવી આ બાબતની જાણ ટી.પી.ઓ. શાખાને કરવી. તો લોકો જાણ નહિ કરે તો જોખમ તો ઝળુબતુ જ રહેશે ને?આવિ જોખમિ કામગીરીમા પણ ગુનાહિત બેદરકારી છતી થાય છે,ટીપીઓ શાખા માત્ર નોટીસો જ આપે છે,પણ તે બાદ જે તે ઈમારત કે તેનો ભાગ સુરક્ષિત થયો તે જોવાની તસ્દી લેવાનો સમય નથી..(કારણ કે બીજા ઘણા ઓફિસમાં પણ કામ છે,જેનાથી સૌ વાકેફ છે)