Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલીકા એ જ્યારથી નર્મદાના નીર મેળવવાનુ શરૂ કર્યુ છે, ત્યારે મુળ રકમથી વ્યાજ અને પેનલ્ટીની રકમ વધી ગઇ છે, કેમ કે ૧૭ વર્ષથી ચુકવણુ જ કરાયુ નથી, જામનગર મહાનગરપાલિકાને નર્મદાનું પાણી રાજયના પાણી પુરવઠા બોર્ડ દ્વારા પુરૂ પાડવામાં આવે છે. પરંતુ પાણી પુરવઠા બોર્ડને ભરવાના થતા પૈસા નિયમિત ભરવામાં આવતા નથી જેના કારણે વારંવાર નોટીસો છતાં પેનલ્ટી, વ્યાજ સહિત મહાપાલિકાને લગભગ રૂા. 160 કરોડ જેવી રકમ ચડત થઇ પાણી પુરવઠા બોર્ડના ચોપડે બોલે છે.
મહાપાલિકાનો પાણી પુરવઠા બોર્ડ સાથે 15 એમએલડીનો કોન્ટ્રાક છે, જે મુજબ 1000 લીટર 15 એમએલડી સુધી રૂા. 6 લેખે પડે ત્યારબાદનું વધારાનું 1000 લીટર પાણીના રૂા. 12 લેખે હિસાબ થાય. મહાપાલિકાની બાકી રહેતી રકમ પર નજર કરીએ તો કુલ 160 કરોડ જેવી રકમ બાકી છે. જેમાંથી 35 કરોડ જેવી પેનલ્ટી 80 કરોડ ઉપરાંતનું વ્યાજ છે. આ રકમ અંદાજે 2002 થી બાકી છે. નિયમિત પૈસા ન ભરવાના કારણે દેવુ દર વર્ષે વધતું જાય છે, જે બદલ વર્ષમાં ચાર-પાંચ નોટીસ પાણી પુરવઠા બોર્ડ આપે છે, બીજી તરફ પેનલ્ટી અને વ્યાજ માફ કરાવવાની કાકલુદી સરકારમા ,કોર્પોરેશન ઘણા સમયથી કરે છે પરંતુ સરકાર રહેમ કરતી નથી.
-નગરજનોને પુરતુ પાણી ન આપી પાણી વેરો ઉભા ઉભ વસુલતુ કોર્પો. લાજતુ ય નથી.
જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દૈનિકના બદલે વર્ષોથી એકાંતરે અથવા ત્રણ-ચાર દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે. પરંતુ મહાપાલિકા પાણીનો વેરો આખા વર્ષનો ઉધરાવે છે. જો કોઇ પાણી વેરો ભરવામાં બેદરકારી દાખવે તો તેનું નળ કનેકશન કટ કરી નાખવામાં આવે છે. પરંતુ મહાપાલિકા પોતે જે નર્મદાનું પાણી લઇ લોકોને વિતરણ કરે છે તેનું મુળ રકમ દંડ અને વ્યાજ સહિત રૂા. 160 કરોડ જેવી રકમ બાકી છે ત્યારે પ્રજાના નાણા જાય છે ક્યાં?