Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
જામનગર સહિત બંને જિલ્લામા અનુમાન મુજબ ભાદરવો ભરપુર રહ્યો અને અકળાવનારી ગરમી વરસાદની સુચક રહી આગાહી પણ સાચી પડી અને સાંબેલાધારથી માંડી મુશળધાર ધોધમાર અને સાથે ગાજવીજ કડાકા ભડાકા અને વીજળી ત્રાટકવાના ઘાતક અને નુકસાનકારક વરસાદી માહોલે લોકોને સતત એક અઠવાડીયા ડરાવ્યા અને જનજીવન ભીનુ કરી નાંખ્યુ લોકો અકળાઇ ગયા વરસાદનો ઘેરાવ થયો પરંતુ હવે ગરમી કે અકળામણવાળુ હવામાન પણ લોકોને ડરાવે છે, પરંતુ લોકો વરસાદથી નથી અકળાયા તેટલા કોર્પોરેશન…. સુધરાઇઓ… પંચાયતો…. વીજ વિભાગ વગેરે એ કવરાવ્યા છે,
જામનગરની વાત કરવામા આવે તો ઠેર-ઠેર ખાંચા ખુચીઓ અને અનેક જાહેર રોડ ઉપર પાણી ભરેલા જ છે, તેવામા ગટરો ઉભરાયેલી છે જે પાણી સાથે ભળી ગંદકી અને જંતુપ્રકોપના મથક બની ગયા છે, તેવુ જ સુધરાઇઓના અને પંચાયતોના વિસ્તારમા કચકાણ છે, જ્યા સફાઇ કરાવવી મોરમ નંખાવવી સ્વચ્છતા કરાવવી કે તેવી કોઇ ચિંતા લગત તંત્રો કરતા જ નથી, સરકારી કચેરીઓ પાસે હોસ્પિટલો શાળા કોલેજો દવાખાનાઓ ઉકરડાઓ કેનાલો ગટરો ઢોર એકઠા થવાના મથકે નદી નાળાના માર્ગે વગેરે અનેક જગ્યાએ બદબુદાર સ્થિતિ જોવા મળે છે, એક તો નગરોના માર્ગો ઉખડેલા ખાડાવાળા તેમાય પાણીના ભરાવા ઉપરથી રોગચાળાની સ્થિતિ આ યાતના કોને કહેવી ક્યાય ચોખ્ખાઇના દર્શન થતા નથી તેવી શહેરીજનો ગ્રામજનો વગેરેની થોકબંધ ફરિયાદો ઉઠી છે, તેવામા વળી ગટરોના ગંદા પાણી બોર કુવા ડંકીના તળમા ભળી ગયા હોય તળના પાણી પીવાલાયક નથી અને એકંદર પાણીજન્ય જંતુજન્ય રોગચાળો ભરડો લઇ ગયો હોવા છતા સઘન કામગીરી ક્યાય જોવા મળતી નથી,
અનેક અવાવરૂ જગ્યા અનેક સેલર અનેક અગાસીઓ અનેક જાહેર મુતરડી ટોયલેટ અનેક ખંડેર વગેરે બદબુ અને ગંદકીથી ખદબદે છે, તેની સફાઇ કોણ જાણે ક્યારે થશે અને ઠેર-ઠેર કચરા ગંદકી જાહેર માર્ગો સોસાયટીઓમા કોહવાય છે, તો વળી વીજ વિભાગે તો ત્રાહીમામ પોકારાવી દીધા અને જામનગર શહેર જિલ્લા તેમજ દ્વારકા જિલ્લામા હજુય અનેક ગામો વિસ્તારોમા રેગ્યુલર વીજપુરવઠો મળતો નથી,લાઇન ફોલ્ટ, વાયરોની તડતડાટી થાંભલાઓમા તિખારા ટ્રાન્સફોર્મરોમા શોર્ટ સરકીટ અને ધડાકા એ તો રોજનુ થયુ એમાથી લોકોને સો ટકા મુક્તિ મળી નથી જેથી લોકોના રોજ બરોજના ઘરના કામકાજ ઓફીસોના કામકાજ વેપારધંધાના કામકાજમા માઠી અસર પહોચી રહી છે,
-પ્રિ-મોન્સુનના ધજાગરા ઉડ્યા…
પ્રિમોન્સુન કામગીરી માટે કોર્પોરેશન વીજ વિભાગ પાણી પુરવઠા વગેરે તમામ વિભાગે લાખો બલ્કે કરોડો રૂપીયા ખર્ચ્યા છતા ન તો પાણીના નિકાલ યોગ્ય ન થયા ન તો વીજપુરવઠો જળવાયો, ભારે વરસાદે અંદાજથી વધુ નુકસાની કરી તે સમજાય પરંતુ વરસાદ રહી જાય તેના થોડા કલાકોમા તો બધુ જ પુર્વવત થવુ જોઇએ ને…. તેના બદલે લેટેસ્ટ મશીનરી ટેકનોલોજી અને પુરતા મેન પાવરના યુગમા પણ તંત્રની બેદરકારીથી લોકો કલાકો દિવસો સુધી બંને જિલ્લામા હેરાન થયા અને હજુ હેરાન થઇ રહ્યા છે, આમા મોન્સુન પ્લાન અને મેનેજમેન્ટના ચીથરા ઉડ્યા છે તે માટે જવાબદારોને શરમ આવવી જ જોઇએ તેમ લોકો આક્રોશ થી જણાવી રહ્યા છે,…કેમકે આ સ્થિતિમા પણ કોઇ ફરિયાદ પણ સાંભળતુ નથી અને એક તરફ ખાડા ખાબોચીયા ગંદકી ઉપરથી અંધારાના ઓળામા દિવસે હેરાન થતા અનેક લોકો રાત્રે ઠેબા ખાઇ રહ્યા છે, અને ઉપરથી ઢોર ના જમાવડા થી અનેક નાના મોટા અકસ્માતો વાહન નુકસાની ઇજાઓ તકલીફો યાતનાઓ ભોગવી રહ્યા છે..
-મહાનગરપાલિકાની દયા… કેટલાય વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો ગતરાત સુધી બંધ…
મહાનગરપાલિકાની અસીમ કૃપાથી કેટલાય વિસ્તારો તેમાં પોશ વિસ્તારોનો પણ સમાવેશ થઇ જાય તે બે ચાર દિવસથી ગતરાત્રી સુધી બંધ જોવા મળી છે, હજુ તો ક્યારે ચાલુ થશે ખબર નથી…. તેના કારણો શું તે તો મનપાના બાહોશ લાઈટ શાખાના અધિકારીઓ અને સતાધીશો જ જાણે પણ લોકો વરસાદ વચ્ચે સ્ટ્રીટ લાઈટ ચાલુ ના હોવાની વાતને લઈને મનપાને કોષી રહ્યા છે.