Mysamachar.in-જામનગરઃ
બ્રાસસિટી તરીકે ઓળખાતા જામનગરમાં બ્રાસઉદ્યોગકારો છેલ્લા કેટલાક સમયથી ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ડિપાર્ટમેન્ટને લગતા પ્રશ્નોથી પરેશાન છે. જે અંગે તેઓએ લેખિતમાં રજૂઆત કરી ઉકેલ લાવવાની માગ કરી છે. રજૂઆતમાં તેઓએ જણાવ્યું કે બ્રાસઉદ્યોગમાં નિકાસ કરતાં એક્સપોટરોના GSTના રીફંડ બાબતે સભ્ય એકમો તરફથી એસોશિએશનને ફરિયાદ મળતી રહે છે. રીફંડ સમયસર નહીં મળવાને કારણે ઉદ્યોગકારોના નાણાં મોટા પ્રમાણમાં સરકારમાં રોકાઇ જાય છે. જેથી ઉદ્યોગકારો પર મોટું આર્થિક ભારણ આવી પડે છે. એક્સ્પોર્ટના કિસ્સામાં GSTનું રીફંડ નિયત સમય મર્યાદામાં મળે તેવી માગ કરવામાં આવી છે. બ્રાસપાર્ટસ હાલ 18 ટકા GSTના સ્લેબમાં આવે છે. રો મટિરિયલ્સનું કોસ્ટિંગ ઉંચું હોવાથી અને તેના પર 18 ટકા જીએસટીના દરને કારણે પડતર ઉંચી પડે છે. તો લઘુતમ સ્લેબના દરમાં તેનો સમાવેશ કરવામાં આવે તો ફાયદાકારક રહેશે તેવી માગ ઉઠી છે.