Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમા રોગચાળાની મોસમ વરસાદની મોસમ સાથે જ ખીલી હોય તેમ લાગી રહ્યું છે, કોંગોફીવર પોજીટીવના બે દર્દીઓ હાલ સારવાર લઇ રહ્યા છે, અને એક સ્વાઈનફ્લુ પોજીટીવના મહિલા દર્દી પણ સારવાર હેઠળ છે, એવામાં ડેન્ગ્યુંનો કહેર પણ જામનગર શહેરમા એટલો જ જોવા મળી રહ્યો છે, જાન્યુઆરી માસથી શરૂ કરીને આજ દિવસ સુધીમાં જામનગર શહેરમા ડેન્ગ્યું પોજીટીવના ૧૯૬ કેસો તો રેકોર્ડ પર છે, (ના નોધાયા હોય તે અલગ) અને ડેન્ગ્યુંના સૌથી વધુ કેસ છેલ્લા બે માસમાં અને આજદિવસ સુધી વધુ સામે આવી રહ્યા છે.
ત્યારે મનપાની આરોગ્યશાખા દ્વારા હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય તેમજ વરસાદ પણ સારા એવા પ્રમાણમાં થયેલ હોય, શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધવાની શક્યતા રહેતી હોય છે. આ ઉપરાંત શહેરમાં ડેન્ગ્યુ પોઝીટીવ કેસ પણ નોંધાય રહ્યા છે. આવા વાહકજન્ય અને પાણીજન્ય રોગોના નિયંત્રણ માટે આરોગ્ય શાખાના મેલેરીયા વિભાગ દ્વારા જામનગર શહેર વિસ્તારમાં આવેલ હાઈરાઇઝ બિલ્ડીંગો અને હાઈરાઇઝ કોમર્શિયલ કોમ્પ્લેક્ષોની વાહકજન્ય રોગચાળા અટકાયત પગલાં અંતર્ગત સઘન ચેકિંગ અંગેની કામગીરી કરાવવામાં આવેલ છે. જેમાં શહેરમા આવેલ રોયલ હાઇટ્સ એપાર્ટમેન્ટ ખોડિયાર કોલોની, જીવનદીપ હોસ્પિટલ, ઇન્દિરા રોડ, માધવ સ્ક્વેર કોમ્પ્લેક્ષ લીમડા લાઇન, ઓસ્કાર કોમ્પ્લેક્ષ, વગેરે બિલ્ડીંગોમાં સેલરમાં વરસાદી પાણી અને ખાબોચિયા ભરાયેલ જોવા મળેલ અને મચ્છર ઉત્પતિ સ્થાનો જોવા મળેલ, જેથી મચ્છર અટકાયતી અંગેના પગલાં લેવા નોટીસો આપવામાં આવેલ છે.