Mysamachar.in-ગાંધીનગરઃ
તો અંતે ધરતીપુત્રોને મહદઅંશે રાહત મળશે, કારણ કે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે આવતા અઠવાડિયામાં પાક નુકસાનીના પૈસા ખેડૂતોના ખાતામાં થઇ જશે.કૃષિમંત્રી આર સી ફળદુએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું કે અતિવૃષ્ટીને કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે અને આ અંગે જે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી હતી તેમના સર્વે સહિતની તમામ કામગીરી હવે પૂર્ણ થવાને આરે છે. આથી હવે ટૂંક સમયમાં સહાયની ચૂકવણી કરી દેવાશે. એટલું જ નહીં મંત્રીએ કહ્યું કે હજુ પણ જે ખેડૂતો સહાય મેળવવા ઇચ્છે છે તેઓ 30મી ડિસેમ્બર સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. જો હજુ પણ જરૂર કે ફરિયાદો મળશે તો ઓનલાઇન અરજી કરવાની તારીખ લંબાવવાની તૈયારી છે.
કૃષિમંત્રી આર. સી ફળદુએ જણાવ્યું કે આ વખતે સીઝનમાં તો ઘણો જ વરસાદ થયો, સાથે સાથે કમોસમી વરસાદને કારણે રાજ્યનાં ખેડૂતોનાં ઉભા પાકમાં નુકસાન થયું છે. જે બાદ ખેડૂતોને મદદરૂપ બનવા માટે પેકેજ જાહેર કર્યું જેમાં 3775 કરોડ રૂપિયાની સહાય કરવાનો નિર્ણય થયો. ખેડૂતોની ઓનલાઇન એપ્લિકેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. દરેક ગ્રામ પંચાયતમાં પોતાની વિગતો આપીને પોતાની અરજી આપતા થયા અને આજ સુધીમાં રાજ્યનાં 17 લાખ ખેડૂતોએ અરજી કરી દીધી છે. આજે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવતા અઠવાડિયામાં આ 17 લાખ ખેડૂતોને પેકેજ પ્રમાણે નાણા ચૂકવી દેવામાં આવશે. 25મી ડિસેમ્બરે અટલ બિહારીનાં જન્મ દિને કૃષિ વિભાગ પોતાનું કામ પતાવી દેશે અને ખેડૂતોને સહાય તેમના ખાતામાં મળવાની શરૂ થઇ જશે. વધુમાં તેઓએ ઉમેર્યું કે 'જે પણ ખેડૂતોએ મગફળીનું વેચાણ કર્યું છે તે તમામને નાફેડ દ્વારા બે દિવસમાં રુપિયા આપી દેવામાં આવશે.'