Mysamachar.in:રાજકોટ:
તાલીમ પામેલા પોલીસજવાનો કેમ હથિયાર વ્યવસ્થિત નહિ સાચવી શકતા હોય તેવા સવાલો અનેકવાર ફાયરીંગની થતી ઘટનાઓથી ઉઠતા આવ્યા છે, એવામાં ગતસાંજે રાજકોટ એસ.ટી.બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં પીએસઆઇ પી.પી.ચાવડાની રિવોલ્વરમાંથી ફાયરિંગ થતાં તેને મળવા આવેલા સ્પા સંચાલક હિમાંશુ ગોહેલ નામના યુવકનું મોત નીપજતા આ મામલે પરિવારજનોમાં ભારે રોષ સાથે આંક્ર્ન્દ જોવા મળી રહ્યો છે, અને પીએસઆઈ સામે હત્યાનો ગુન્હો નોંધવાની માંગ થઇ રહી છે, કહેવાય છે કે પીએસઆઈએ ક્રિકેટ મેચની ટિકિટ ખરીદવા માટે સ્પા સંચાલકને બોલાવ્યાનું અને સર્વિસ રિવોલ્વર નવા કવરમાં નાખતી વખતે ફાયર થઇ ગયાનું ફોજદારે રટણ રટ્યું હતું. તો મૃતકના પરિવારજનોએ હત્યા થયાનો આક્ષેપ કરી લાશ સ્વીકારવા ઈન્કાર કરતા મામલો વધુ બીચકયો છે,
મૃતક હિમાંશુના પરિવારે જ્યાં સુધી પીએસઆઇ ચાવડા વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી લાશ નહીં સ્વીકારીએ તેવી માંગ કરી છે. જો કે જેની રિવોલ્વરથી આ ફાયરીંગ થયું છે તે પીએસઆઇ ચાવડાની પૂછપરછમાં હિમાંશુ ગોહેલ માલવિયા ચોકમાં આવેલા પ્રમુખસ્વામી આર્કેડના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્પા ચલાવતો હોય તેના પરિચયમાં હતો, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર વન-ડે ક્રિકેટ મેચની પાંચ જેટલી ટિકિટ પોતાને ખરીદ કરવી હોવાથી હિમાંશુને ફોન કરીને પોલીસ ચોકીએ બોલાવ્યો હતો. સાંજે ચારેક વાગ્યે રૈયારોડ પરથી પોતે સર્વિસ રિવોલ્વર રાખવાનું નવું પાકીટ ખરીદ કર્યું હતું અને જૂના વોલેટમાંથી રિવોલ્વર કાઢી નવા પાકીટમાં નાખી રહ્યા હતા તે વખતે ભૂલથી ફાયરિંગ થઇ ગયું હતું. રિવોલ્વરમાંથી ફાયર થયું એ સમયે જ હિમાંશુએ ચોકીનો દરવાજો ખોલ્યો હતો અને તેના કપાળમાં ગોળી ઘૂસી ગઇ હતી. ફોજદારની રિવોલ્વર પાંચ કાર્ટિસથી લોડેડ હોવાનું ખુલ્યું હતું હવે આ મામલે પરિવારજનો હત્યાનો ગુન્હો નોંધાવાની માંગને લઈને મક્કમ છે.