Mysamachar.in-જામનગર:
ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ગઈકાલ થી શ્રી સ્વામીનારાયણ સંસ્થા દ્વારા આપવામાં આવેલ રત્નાકર એવોર્ડ પરત આપવાની શરૂઆત કરવામાં આવી છે, અને આ સીલસીલો આજે પણ ચાલુ રહ્યો છે, અને કલાકારો પોતાના એવોર્ડ પરત આપી રહ્યા છે,ત્યારે ગુજરાતના ખ્યાતનામ કલાકારોમા ના એક એવા માયાભાઇ આહીરે પણ પોતાને મળેલો રત્નાકર એવોર્ડ પરત કરી દીધો છે, ત્યારે આજે જામનગર ખાતે મોરારીબાપુની કથા માટે આવેલા માયાભાઇ આહીર સાથે કથા પૂર્વે Mysamachar.in ન્યુઝ એડિટર રવિ બુદ્ધદેવે મુલાકાત કરી અને તેવોનો આ મામલે મત જાણવાનો પ્રયાસ કર્યો હતો,
માયાભાઇ આહિરે વાતચીતમાં કહ્યું કે કલાકારો ભાવના ભૂખ્યા હોય છીએ..પણ નાના શબ્દોનું છેલ્લા કેટલાક દિવસોમાં મોટું સ્વરૂપ આપવામાં આવ્યું છે, અને દરેક સ્વામીઓએ પોત-પોતાની રીતે નિવેદનો આપ્યા છે, પણ જયારે અમને ખ્યાલ આવ્યો કે જેને અમારું સન્માન કર્યું છે તે માફીમાં જ એવું બોલ્યા કે અમેય તમારા સન્માનો કર્યા છે, રત્નાકર એવોર્ડ આપીયે છીએ ત્યારે ખબર પડી કે જે સંસ્થાએ કલાકારોનું સન્માન કરે છે તે જ આપણું અપમાન પણ કરે છે, તો સન્માન અને અપમાન બને કેમ સાથે રાખવું તે હ્રદયમા સહજ આ વાત લાગી આવતા તે લોકોના અપમાન માટે નહિ પણ સહજભાવથી સન્માન પરત અપર્ણ કર્યું છે,
વધુમાં માયાભાઇએ ને જયારે પૂછવામાં આવ્યું કે કોઈ સ્વામી દ્વારા એવું નિવેદન કરવામાં આવ્યું હતું કે કલાકારો નશાની હાલતમાં સ્ટેજ પર આવે છે તેને આપ એક કલાકાર તરીકે કઈ રીતે જુઓ છો.? તેના જવાબમાં માયાભાઇ એ કહ્યું કે આ વાતનું પણ અમને દુઃખ લાગ્યું છે, જો અમે આવા હતા તો અમારા સન્માન શા માટે કર્યા હતા,? વધુમાં તેવોએ કહ્યું કે અત્યારે વર્તમાન પેઢીનો કોઈ એક પણ કલાકાર સ્ટેજ પર પી ને આવતો નથી, અને એમનેમ પણ કોઈને આવી ટેવ નથી, કલાકારો માટે આવા શબ્દપ્રયોગ થી અમારા કરતાં તો અમારા શ્રોતાઓને આ શબ્દોને લઈને વધુ ખોટું લાગ્યું છે, અને એક સાધુના મોઢે થી આવા શબ્દો નીકળે ત્યારે આવું શોભે નહિ…આમ આવા તમામ શબ્દો અને કલાકારોના અપમાનને કારણે કલાકારોને મનમાં ખૂંચી આવતા કલાકારોએ આ એવોર્ડ પરત કરવાની શરૂઆત કરી છે તેમ પણ ખ્યાતનામ કલાકાર માયાભાઇ આહિરે પોતાની વાતચીતમાં અંતે જણાવ્યું હતું.