Mysamachar.in:જામનગર:
જામનગર શહેરમાં એસ્ટેટ અને ટાઉનપ્લાનિંગ વિભાગની મીઠી નજર હેઠળ ગેરકાયદેસર બાંધકામો નો “વિકાસ” થઇ રહ્યો છે, અને તે વિકાસમાં અમુક શાશકપક્ષ અને અમુક વિપક્ષના સભ્યો પણ લાભાન્વિત થાય છે, બાકી તો કોઈ ગરીબની ઓરડી ગેરકાયદેસર બને તો પણ બુલડોઝર સાથે પહોચી જતી મનપાની ટીમને મહાકાય બાંધકામો પર હથોડો ઝીંકતા કોના હાથ આડા આવે છે, તે સમજાતું નથી, એક એવું પ્રકરણ સામે આવ્યું છે જેમાં એક વર્ષથી વધુ સમયથી ત્રણ માળનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા મનપાની ટાઉનપ્લાનિંગ શાખા એ માત્ર નોટીસ આપી છે, પણ તૂટતું નથી, કારણ કે ભલામણોનો મારો છે….તોડવું પણ કેમ..?
આ બાંધકામ એટલે શહેરના હીરજી મિસ્ત્રી રોડ પર આવેલ “KITMAAT SUPER MARKET” નું બાંધકામ આ બાંધકામ કરનાર આસામી દ્વારા મનપા પાસેથી જરૂરી મંજુરી મેળવવામાં ના આવી હોય મનપા દ્વારા આ માર્કેટના આસામીને બીપીએમસી એક્ટની કલમો ૨૬૦-૧ અને ૨૬૦-૨ મુજબની આખરી નોટીસ ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળ માટે આપી દેવામાં આવ્યા બાદ સારા ચોઘડિયાની રાહ જોવાઈ રહી હોય તેમ આ બાંધકામ તોડી પાડવા માટે મનપાનો એસ્ટેટ વિભાગ કોની રાહ જોઈ રહ્યો છે, તે સમજાતું નથી અને બાંધકામ તોડી પાડવા માટે રાબેતા મુજબ એસ્ટેટ વિભાગ ટાઉનપ્લાનિંગ અને ટાઉનપ્લાનિંગ વિભાગ એસ્ટેટ વિભાગ આમ એકબીજા પર જવાબદારીની ફેકમફેક કરી રહ્યા છે.જો કે માત્ર વિભાગોની રમત સીમિત નથી, રાજકારણના ઓછાયા પણ એટલા હોય શું કરવું તે વિમાસણ છે.
હે…શું…શાશક અને વિપક્ષના કેટલાકે “લાભો” લીધા.?
આ ઈમારતના આસામી પાસેથી ગેરકાયદેસર બાંધકામ હોવાનું સામે આવતા જામનગર મનપાના શાશકના એકાદ, વિપક્ષના એકાદ અને એકાદ બહારની ચૌદશ મળીને “યોગ્ય લાભો” લીધા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, અને ચર્ચાઓ એવી પણ ચાલે છે કે જયારે આ બિલ્ડીંગ તરફથી એસ્ટેટ અને ટાઉનપ્લાનિંગ નીકળે ત્યારે જેને “લાભો” મેળવ્યા છે તે ફોન કરી ને ત્યાં કાઈ કરવાનું નથી તેવી ભલામણ પણ લગત ને કરી દે છે.તેથી કર્મચારીઓ અને અધિકારીઓના હાથ પણ બંધાઈ જાય છે.