Mysamachar.in-રાજકોટઃ
ખેડૂતોને સહાય ચૂકવવા માટે રાજકોટના તરઘડિયામાં ખેડૂત સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં કૃષિ મંત્રી આર સી ફળદુ, મંત્રી કુંવરજી બાવળિયા સહિતના નેતાઓ હાજર હતા, જો કે જેવા કૃષિ મંત્રી સંબોધન કરવા ઉભા થયા કે અચાનક કેટલાક ખેડૂતોએ ચાલતી પકડી હતી. તથા જય ઘોષ દરમિયાન ખેડૂતોએ પંજો બતાવ્યો હતો. આ જોઇ નેતાઓ આશ્ચર્યમાં મૂકાયા હતા. બાદમાં કૃષિ મંત્રી ફળદુએ વિનંતી કરી કે 'થોડી વાર મારી વાત સાંભળો ત્યારબાદ જતા રહેજો. હું તમારી વાત કરવા આવ્યો છું, પંજો ન બતાવો મુઠ્ઠી વાળો'.
ઉલ્લેખનીય છે કે રાજકોટના તરઘડીયામાં ખેડૂત સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કમોસમી વરસાદથી નુકસાન પહોંચ્યું હોય તેવા છ જિલ્લાના ખેડૂતોને ચેક અર્પણ કરી સહાય ચૂકવવામાં આવી હતી. 6 જિલ્લાના 97,7059 ખેડૂતોએ નુકસાન અંગે અરજી કરી હતી. આ તમામ ખેડૂતોને 745 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાના ખેડૂતોને 183.99 કરોડ, મોરબી જિલ્લાના ખેડૂતોને 156.61 કરોડ, જામનગર જિલ્લાના ખેડૂતોને 165.72 કરોડ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને 46.58 કરોડ, પોરબંદર જિલ્લાના ખેડૂતોને 40.58 કરોડ અને જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને 151.95 કરોડની રકમ ચૂકવવામાં આવી હતી. હજુ પણ ઓનલાઇન અરજી ચાલુ જ છે. જેમ જેમ અરજીઓ આવશે તેમ સહાય ચૂકવવામાં આવશે.